Amreli News/ કેસર કેરીની વાડીમાં સિંહ પરિવાર બન્યો ચોકીદાર

આંબાના ઘનઘોર વૃક્ષોની ઠંડી છાયામાં સિંહ પરિવાર(Lion Family) દિવસ દરમિયાન આરામ કરતો જોવા મળે છે

Gujarat Others
મજૂરો અને સિંહ પરિવાર(Lion Family) વચ્ચે કોઈ ટકરાવ જોવા મળતો નથી

Amreli News : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામમાં એક અનોખો અને ચોંકાવનારો દ્રશ્ય સામે આવ્યો છે. અહીં કેસર કેરીની આંબાવાડીની રખેવાળી માટે કોઈ માણસ કે વાડ નહીં, પરંતુ જંગલનો રાજા સિંહ પોતે જ ‘ચોકીદાર’ (Watchmen)બની ગયો છે. વાડીમાં એક સિંહણ અને તેના ત્રણ બચ્ચાએ કાયમી ડેરો જમાવ્યો છે, જેને કારણે આ વિસ્તાર ચર્ચાનો વિષય બન્યો છે.

દિવસે આરામ, રાત્રે કડક પહેરો

આંબાના ઘનઘોર વૃક્ષોની ઠંડી છાયામાં સિંહ પરિવાર(Lion Family) દિવસ દરમિયાન આરામ કરતો જોવા મળે છે. જ્યારે રાત્રિ પડતા જ આ સિંહો આખી વાડીમાં લટાર મારીને જાણે પહેરો ભરતા હોય તેવું દ્રશ્ય સર્જાય છે. આ દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે અને સ્થાનિક લોકો માટે પણ આ એક અનોખો અનુભવ બની રહ્યો છે.

સાવજના ડરે જંગલી પ્રાણીઓ ગાયબ

સિંહ પરિવાર(Lion Family)ની હાજરીનો સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે. સામાન્ય રીતે કેરીના પાકને નુકસાન પહોંચાડતા ભૂંડ અને નીલગાય જેવા જંગલી પ્રાણીઓ હવે વાડીની આસપાસ પણ દેખાતા નથી. સાવજના ડરથી આ પ્રાણીઓ દૂર રહેતા હોવાથી કેરીના પાકને કોઈ નુકસાન થતું નથી. વાડીના માલિકો માટે આ પરિસ્થિતિ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.

ખેડૂતો માટે કુદરતી રક્ષણ વ્યવસ્થા

વાડીના માલિકોના જણાવ્યા મુજબ, “સિંહની હાજરીએ જંગલી પ્રાણીઓનો ત્રાસ સંપૂર્ણપણે ઓછો કરી દીધો છે, જેના કારણે પાકનું સંરક્ષણ સહેલું બન્યું છે.” સામાન્ય રીતે જે કામ માટે માણસો કે સુરક્ષા વ્યવસ્થા રાખવી પડતી હતી, તે હવે કુદરત પોતે જ કરી રહી છે.

માનવ અને વન્યજીવ વચ્ચે સહ-અસ્તિત્વનું ઉદાહરણ

ગીર પંથકમાં સિંહ અને મનુષ્ય વચ્ચે સહ-અસ્તિત્વના ઘણા કિસ્સાઓ જોવા મળે છે, પરંતુ આ ઘટના ખરેખર વિશેષ છે. અહીં મજૂરો અને સિંહ પરિવાર(Lion Family) વચ્ચે કોઈ ટકરાવ જોવા મળતો નથી. જો વન્યજીવોને છેડવામાં ન આવે, તો તેઓ મનુષ્ય માટે ખતરો નહીં પરંતુ સહયોગી બની શકે છે—તેનું આ જીવંત ઉદાહરણ છે.

આ અનોખી ઘટના માત્ર એક સમાચાર નથી, પરંતુ કુદરત અને માનવ વચ્ચેના સંતુલનનું સુંદર પ્રતિબિંબ પણ છે


આ પણ વાંચો : જંગલના રાજા સિંહને નજીકથી જોવા છે? આ 5 નેશનલ પાર્ક છે વન્યજીવ પ્રેમીઓની પહેલી પસંદ

આ પણ વાંચો : આંબરડી સફારી પાર્કમાં એશિયન સિંહની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરાઇ

આ પણ વાંચો : ગીર અભયારણ્યમાં કરાયેલા સિંહની વસ્તી ગણતરીના આંકડા થયા જાહેર ,જાણો સાવજની વસ્તીમાં કેટલો થયો વધારો?