ગોલઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના આજે ચોથા દિવસે ભારતે પોતાનો પ્રથમ દાવ ત્રણ વિકેટ ગુમાવીને 240 રને ડિકલેર કરી દીધો છે અને શ્રીલંકાને જીતવા માટે પહાડ જેવું 550 રનનું લક્ષ્ય આપ્યું છે. જોકે આ મેદાન પર આ લક્ષ્ય હાંસલ કરવું શ્રીલંકા માટે મુશ્કેલ જ નહીં, અશક્ય છે એ શ્રીલંકાની પહેલા દાવની બેટિંગ જોતાં લાગી રહ્યું છે.
આજના દિવસની ભારતની ટૂંકી ઇનિંગ્સનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે પોતાની કારકિર્દીની વધુ એક સદી ફટકારી હતી અને દાવ ડિકલેર કર્યો ત્યારે ૧૦૩ રને અણનમ રહ્યો હતો. આ ઉપરાંત અજિંક્ય રહાણે પણ 23 રને અણનમ રહ્યો હતો. ગઈ કાલે ત્રીજા દિવસની અંતિમ ઓવરમાં અભિનવ મુકુંદ 81 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ આજે અજિંક્ય રહાણે મેદાનમાં વિરાટને સાથે આપવા માટે ઊતર્યો હતો અને આ બંનેએ ઝડપી રમત રમવાનું શરૂ કર્યું હતું. આજે શ્રીલંકન બોલર્સને કોઈ જ મચક આપ્યા વિના આ બંને ખેલાડી ભારતનો સ્કોર
ત્રણ વિકેટે 240 રન સુધી લઈ ગયા હતા અને છેવટે કેપ્ટન કોહલીએ ભારતની ઇનિંગ્સ ડિકલેર કરી દીધી હતી. આમ શ્રીલંકાને મેચ જીતવા માટે અશક્ય એવું 550 રનનું લક્ષ્ય મળ્યું છે. જવાબમાં શ્રીલંકા ટીમ ની શરુઆત ખુબ નબળી થઈ છે. ઉપલ થરંગા ૧૦ રન અને ગુનાથીલકા ૨ રન આઉટ થઇ ગયેલ છે. જયારે કરુનારતને અણનમ 52 અને મેન્ડીસ 32 રન બનાવી વળતી લડત આપી રહ્યા છે.
ભારત તરફથી ઉમેશ યાદવ અને મોહમ્મદ શામી એ 1-1 વિકેટ ઝડપી છે.
અભિનવની ઇનિંગ્સે વિરાટની ચિંતા વધારી દીધી. શ્રીલંકા સામે ગોલ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં એખ નવું સમીકરણ સામે આવ્યું. પહેલી ઇનિંગ્સના સદીવીર ધવન અને પૂજારા બીજી ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યા અને અભિનવ મુકુંદે પોતાનો દમ દેખાડ્યો. પહેલી ઇનિંગ્સમાં અભિનવ ફ્લોપ રહ્યો હતો, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેણે શાનદાર બેટિંગ કરી. જોકે તે પોતાની સદી પૂરી કરી શક્યો નહીં.
મુકુંદને પ્રથમ ટેસ્ટમાં તાવગ્રસ્ત લોકેશ રાહુલના સ્થાને મેદાનમાં ઉતારાયો. તે પહેલી ઇનિંગ્સમાં તો ફ્લોપ રહ્યો અને ફક્ત 12 રન જ બનાવી શક્યો તો, પરંતુ બીજી ઇનિંગ્સમાં જ્યારે ટીમના બે દિગ્ગજ પૂજારા અને શિખર નિષ્ફળ રહ્યા ત્યારે અભિનવે શાનદાર 81 રન બનાવ્યા. તેણે વિરાટની સાથે ત્રીજી વિકેટ માટે 133 રનની ભાગીદારી નોંધાવી. જોકે મુકુંદ પોતાની પહેલી ટેસ્ટ સદી ચૂકી ગયો. તેની આ ઇનિંગ્સે વિરાટની ચિંતા વધારી દીધી છે.
અસલમાં તાવને કરણે લોકેશ રાહુલ પ્રથમ ટેસ્ટ માટે ટીમની બહાર થઈ ગયો હતો. હવે રાહુલ સ્વસ્થ થઈ ગયો છે અને તેને બીજી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરવા માટે ફિટ છે. હવે બીજી તરફ અભિનવે શાનદાર બેટિંગ કરી અને બતાવી આપ્યું કે તેનામાં પણ ઘણી ક્ષમતા છે. વિરાટ સામે પરેશાની એ આવી છે કે બીજી ટેસ્ટમાં તે કોને તક આપે, અભિનવ મુકુંદને કે પછી લોકેશ રાહુલને?