વલસાડ ના પોસ વિસ્તાર એવા તિથલ રોડ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસો માં રહીશો છેલ્લા 42 વર્ષથી મોતના ઓછાયા અને ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર હાઉસિંગ બોર્ડોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 1988ના સમયે વલસાડ માં બનાવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનો કિસ્સો કંઈક અલગ જ છે. હાઉસિંગબોર્ડનાં આવાસોમાં રહેતા સ્થાનિકોને હવે સુરક્ષિત રહેવું છે અને તેના બાળકોના જીવ પણ બચાવવા છે આથી સ્થાનિકો બિલ્ડિંગ રિપેરિંગ અને વ્યાજમાફીની માગ કરી રહ્યાં છે.
સન 1988માં રાજ્ય સરકાર દ્વારા વલસાડના તિથલ રોડ પાસે આવેલ અને ભાગડાવાડા ગ્રામ પંચાયત વિસ્તારનીહદમાં 360 એમ.આઇ.જી તેમજ 240 એલ.આઇ.જી, કુલ 600 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે શરૂઆતથી જ હલકી ગુણવત્તાનાં કામને લઈને અહીંના રહીશોને નારાજ થઈ ગયા હતા. થોડા સમયની અંદર જ બિલ્ડિંગમાં સ્લેબ પડવાની ઘટનાથી રહીશો આંદોલનનાં મૂડમાં આવી ગયા હતા અને સરકારને જે હપ્તા આપવાના હતા તે ભરવાનું બંધ કરી દીધેલ. હપ્તા ન ભરવાના કારણે ચક્રવૃદ્ધિ વ્યાજ વધતું ગયું હતું ત્યારે અહી રહેતા મધ્યમ વર્ગીય તેમજ ગરીબ પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયાં હતાં. રોજ કમાને લાવી રોજનું ખાતા ગરીબ પરિવારો ઉપર આફત આવી પડતાં તે સમયનાં ધારાસભ્ય દોલતભાઇ દેસાઇએ સરકારમાં રજૂઆત કરીને કટ ઓફ ડેટની સ્કીમ સ્કીમ લઈ આવ્યા હતા પરંતુ તે પૈસા પણ રહીશો દ્વારા સમય સર ના ભરાતા સરકારે ગત વરસે 50 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજની પેનલ્ટી માફીની સ્કીમ લાવ્યા હતા. જોકે તે સ્કીમને સ્થાનિકો એ હાસ્યસ્પદ ગણાવી છે, અહીંના સ્થાનિક નેતાઓ તેમજ અધિકારીઓ વચ્ચે સમન્વય ન હોવાનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે.
સન 2010 માં ગુજરાત હાઉસિંગ બોર્ડ ની અંદર આવેલ બિલ્ડિંગ નંબર 9 ના 8 ફ્લેટ ધરાશાયી થયા હતા પરંતુ અહીંના સ્થાનિક યુવાનોની મદદથી કોઇ જાનહાનિનો બનાવ બનેલ નહિ અને આજે પણ 8 પરિવારો ઘર વિહોણા થઇ ગયા છે અને ગાંધીનગર સુરત સહિતના ધક્કા ખાધા બાદ આજ દિન સુધી મકાન પ્રાપ્ત થયું નથી અને એક ઓફિસથી બીજા ઓફિસે ધક્કા ખાવા ના વારા આવ્યા છે.
વર્ષ 2015માં ધોધમાર વરસાદના કારણે બિલ્ડિંગ નંબર 26નાં 3 ઘરો ધરાશાયી થયાં હતાં પરંતુ અહીંના સ્થાનિક આગેવાનોની આગમચેતીના પગલારૂપે મોટી જાનહાનિ ટળી હતી. વલસાડના ગુજરાત હાઉસિંગ બોર્ડના 600 ફ્લેટ ના 2500 પરિવારો હાલ ભયનાં માહોલમાં જીવી રહ્યા છે અને પોતાના ઘરોમાં સ્વ ખર્ચે મરામત કરાવીને રહે છે. અહી બિલ્ડિંગોમાં સ્લેબ પડવાના બનાવો બનતા રહે છે. આજની મોંઘવારીમાં અન્યત્ર સ્થળે ઉંચા ભાડા દર હોવાથી સ્થળાંતર કરવું પોષાઈ તેમ નથી અને લાચારીવશ મોતના મુખમાં ગરીબો આ સરકારી આવાસમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ મામલે હાઉસિંગ બોર્ડ અને રાજ્ય સરકાર આગળ આવી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલા તકેદારી લે એ જરૂરી બન્યું છે. આ મામલે સરકાર 100% પેનલ્ટી માફ કરે અને બિલ્ડિંગોની મરમત કરાવે તેવી સ્થાનિકોમાં માગ ઊઠી છે.
આ પણ વાંચો : માતા હીરાબાના 100મા જન્મદિવસે PM મોદીએ લીધા આશીર્વાદ, તેમના પગ ધોયા-લાડુ ખવડાવ્યા, જુઓ ફોટા