Ajab Gajab News: ગરોળી (Lizard) પોતાની પૂંછડી (Tail)ને ઓચિંતી જ કેમ છૂટી કરી દે છે અને પછી ફરીથી એ ઊગે પણ છે! પોતાના શરીરનો એક ભાગ ગુમાવ્યા બાદ તે અંગ (Organ) ફરી કેવી રીતે ઊગી જાય છે? આ વાત આશ્ચર્ય નીપજાવે એવી છે! તો ચાલો, આ બાબતના વૈજ્ઞાનિક કારણોને જાણીશું…
સરિસૃપ વર્ગની ગરોળીનું જીવનચક્ર
ગરોળીની અનેક પ્રજાતિઓ હોય છે જેમાં, વૃક્ષ (Tree) પર રહેનારી ગરોળીથી લઈને ખડકાળ વિસ્તાર (Rocky Area)માં રહેતી ગરોળીનો સમાવેશ થાય છે. આમાંથી એક ગરોળી એવી છે જે આપણા બધાના ઘરોમાં સામાન્ય રીતે જોવા મળે છે.
ગરોળી એક સરિસૃપ વર્ગ (Reptile Class)નું પ્રાણી છે જેણે માનવ નિવાસસ્થાનમાં અસરકારક રીતે અનુકૂલન સાધ્યું છે. ઠંડા લોહીવાળું આ પ્રાણી સામાન્ય રીતે ગરમ દીવાલો, છત અને ખૂણાઓમાં વસવાટ કરવાનું પસંદ કરે છે. ઘણીવાર રાત્રે જીવડાંનો શિકાર કરવા માટે તે બહાર આવે છે. તેનો ખોરાક માટે વિવિધ પ્રકારના જંતુઓ છે, જેમાં મચ્છર, જીવાત અને માખીઓ સામેલ છે.

‘પોષણ ચક્ર’માં જીવ-જંતુની વસ્તી નિયંત્રણનું કાર્ય
માનવ વસાહત સાથે અનુકૂલન સાધીને (Human Companionship) તે, ફૂડ ચેઇન અર્થાત્ પોષણ ચક્રમાં જીવ-જંતુની વસ્તી નિયંત્રણનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે.
ગરોળીમાં શિકારીથી છટકવાના આબાદ ગુણ
સાયન્ટીફિક અભ્યાસ દર્શાવે છે કે, જ્યારે પણ ગરોળીને જોખમ (Risk) જણાય ત્યારે તે શિકારીનું ધ્યાનભંગ કરવા પોતાની પૂંછડી કાપી નાખે છે. આપણે ઘણીવાર રાત્રિ દરમિયાન દીવાલો પર લૅમ્પ કે ટ્યૂબલાઇટની આસપાસ ગરોળીઓને ફરતી જોયેલી છે. તે કૃત્રિમ પ્રકાશ તરફ આકર્ષિત થતા જીવડાંનો શિકાર કરે છે.
તેની દીવાલ સાથે ચોંટી રહેવાની ક્ષમતા, એને છુપાવી રાખવામાં મદદ કરતો રંગ અને એની ઝડપી દબાતી ચાલના કારણે તે એક વિશિષ્ટ પ્રાણી ગણાય છે. પોતાના બચાવ માટે એ આવી અદ્ભુત યુક્તિનો ઉપયોગ કરે છે અને એની મદદથી જીવલેણ જોખમ વખતે પણ તે આબાદ છટકી શકે છે.
ગરોળીની પૂંછડી કપાયા બાદ ફરી કેવી રીતે ઉગે છે?
દક્ષિણ ભારતના ‘અગસ્ત્યામલાઈ (Agastyamalai) પીપલ્સ નેચર કન્ઝર્વેશન સેન્ટર’ના જીવવિજ્ઞાની ડૉ. થાનિગૈવેલ જણાવે છે કે, “સામાન્ય રીતે, ગરોળીને શિકારીઓથી જોખમ જણાય ત્યારે અથવા તેઓની અન્ય ગરોળીઓ સાથે લડાઈ (Fight) થાય ત્યારે પોતાની પૂંછડીને કાપી નાખે છે.”
ગરોળીના હર્પેટોલૉજીકલ અભ્યાસો સૂચવે છે કે આ પ્રક્રિયાને ‘ઑટોટૉમી’ (Autotomy) કહેવામાં આવે છે, જેનો અર્થ છે, ‘પોતાના શરીરના ભાગને કાપી નાખવાની પ્રક્રિયા’…
તેઓ વધુમાં જણાવે છે, “ગરોળીની પૂંછડી એ તેના શરીરનો જ હિસ્સો છે, પરંતુ જોખમ જણાય ત્યારે શિકારીનું ધ્યાનભંગ કરવાનું કાર્ય કરે છે! એકવાર અલગ થઈ ગયા પછી તેની પૂંછડી ઘણી મિનિટો સુધી સતત હલતી રહે છે!”
ડૉ. થાનિગાઇવેલ જણાવે છે, “તે પ્રક્રિયા શિકારી (Hunter) અથવા તો તેની પર હુમલો કરવા આવતા દુશ્મન (Enemy)નું ધ્યાન ભટકાવશે અને આ દરમિયાન ગરોળી ભાગી જશે.”
ખોરાકની અછત પડે ત્યારે તે પોતાની પૂંછડીને કાપીને ખાય છે
આ ઉપરાંત “ગરોળી પોતાની પૂંછડીમાં ઘણું પ્રોટીન અને ચરબી (Protein & Fat)નો સંગ્રહ કરતી હોય છે. તેથી જ્યારે પણ ખોરાકની અછત પડે ત્યારે તે પોતાની પૂંછડીને કાપી નાખીને તેનો ખોરાક (Food) તરીકે પણ ઉપયોગ કરે છે! આ ઉપરાંત, બીજી ગરોળી પર હુમલો કરીને તેની પૂંછડી પણ ક્યારેક કાપી નાખે છે.”
પૂંછડીના કપાયેલા ભાગને જો નજીકથી જોશો તો તે ભાગ તૂટેલો જણાશે. આ અંગ નવા જેવું પુન: ઊગી શકે છે આથી જ ગરોળી પોતાના બચાવ માટે આ આબાદ વ્યૂહરચના (Strategy)નો ઉપયોગ કરે છે!
તેઓના જણાવ્યા અનુસાર, “ગરોળીના શરીરની રચના આ યુક્તિનો ઉત્તમ ઉપયોગ કરવા માટે અનુકૂળ બની ચૂકી છે. તેમની પૂંછડીમાં એવી સંરચના હોય છે જે એક શૃંખલાની જેમ શરૂઆતથી અંત સુધી સરળતાથી તૂટી જાય છે! પૂંછડીની સંરચના એવી હોય છે કે જો તેને કાપી નાખવામાં આવે તો પણ ગરોળીને જીવલેણ ઈજા (Injury) નહીં પહોંચે!”

ગરોળીની અનોખી શારીરિક સંરચના
ગરોળીની પૂંછડી કપાઈ ગયા પછી ફરીથી ઊગવાનું શરુ થઇ જાય છે. વર્ષ 2016માં, ‘બાયોલૉજી, મેડિસિન અને નૅચરલ પ્રોડક્ટ કેમિસ્ટ્રી જર્નલ’માં ગરોળી અંગેનો અભ્યાસ પ્રકાશિત થયો હતો જેમાં ગરોળીની પૂંછડી કપાવાની સમગ્ર પ્રક્રિયાની સમજ આપવામાં આવેલી છે.
આ સ્ટડી મુજબ, શિકારી હુમલો કરે તે સમયે અથવા તો એને અચાનક ખલેલ પહોંચાડવામાં આવે ત્યારે ગરોળી પૂંછડી કાપવાની પ્રક્રિયા કરતી જોવા મળે છે.
ગરોળી વિશેની આ અજબ વાતો અહીં સમાપ્ત નથી થતી! તેમની આ અનોખી ‘રિજનરેશન’ (Regeneration) પદ્ધતિ પણ વર્ષોથી સંશોધકોને આકર્ષિત કરતી રહી છે. એક અભ્યાસ મુજબ, “ગરોળીમાં રિજનરેશન પ્રક્રિયાના ત્રણ તબક્કા હોય છે. પ્રથમ તબક્કામાં ઘા ઝડપથી રૂઝાય છે. બીજા તબક્કામાં, બ્લાસ્ટેમા (Blastema) નામના વિશિષ્ટ કોષોનો સંગ્રહ પૂંછડી કપાઈ હોય તે સ્થળે જમા થાય છે. અંતે આ કોષ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે અને નવી પૂંછડીની રચના કરે છે.”
ઓરિજીનલ પૂંછડી જેવી નવી નથી હોતી
જોકે, અભ્યાસમાં એ પણ જણાવાયું છે કે “નવી પૂંછડી એ કાપવામાં આવેલી ઓરિજીનલ પૂંછડી જેવી નથી હોતી.”
ગરોળીની મૂળ પૂંછડી હાડકાં, સ્નાયુઓના સ્તર, તેમાંથી પસાર થતી કરોડરજ્જુ, ચરબીયુક્ત પેશીઓ, ચેતા અને રક્તવાહિનીઓ ધરાવે છે. આ બધું ભેગું મળીને ગરોળીને શક્તિ અને સંતુલન (Balance) આપે છે.”
આ અદ્ભુત ક્ષમતા ગરોળીને તત્કાળ ખતરા સામે સ્વરક્ષણ (Self Defense)માં મદદગાર છે. જોકે, અભ્યાસ દર્શાવે છે કે એકવાર, પૂંછડી ગુમાવ્યા પછી ફરીથી ઊગતી નવી પૂંછડી દેખાવમાં સરખી હોય છે, પરંતુ મૂળ પૂંછડી કરતા અનેક રીતે અલગ હોય છે.
“જે નવી પૂંછડી ઊગે છે તેમાં હાડકાંને બદલે કોમળ અસ્થિથી બનેલું લાંબું નળીયુક્ત માળખું હોય છે અને તેની કરોડરજ્જુમાં ચેતા કોષો વગરની સરળ નર્વ પેશીઓ હશે. નવી પૂંછડીના સ્નાયુઓના મુકાબલે ઓરિજીનલ પૂંછડીના સ્નાયુઓ વધુ સુવ્યવસ્થિત હોય છે.”
આ ઉપરાંત, આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પૂંછડીનું ‘રિજનરેશન’ ત્યારે જ શક્ય બનશે જ્યારે એપેન્ડીમલ સેલ્સ તરીકે ઓળખાતો કરોડરજ્જુનો એક ભાગ ગરોળીના શરીરમાં અકબંધ હોય છે.

નવી પૂંછડી કેટલી વાર ઊગી શકે?
ફૂડ ચેઇન અર્થાત્ પોષણ શૃંખલા (Food Chain)ને જાળવી રાખવામાં ગરોળીની મહત્ત્વની ભૂમિકા છે. તે જીવ-જંતુઓ (Insects)ની વસ્તીને નિયંત્રિત કરે છે.વર્ષ 2013માં શિકાગો યુનિવર્સિટીના ‘નેચર કૉમ્યુનિકેશન્સ જર્નલ’માં પ્રકાશિત થયેલા એક લેખમાં જણાવાયા પ્રમાણે ગરોળી પૂંછડી ગુમાવે ત્યારે તેની ગતિશીલતા અને છટકી જવાની ક્ષમતાને અસર પડે છે.
જોકે, ડૉ. થાનિગાઇવેલ કહે છે કે, આ પ્રક્રિયા માટે કોઈ ચોક્કસ સંખ્યાની મર્યાદા નથી.
તેઓ કહે છે, “તેઓ ગમે જેટલી વખત જોખમમાંથી પસાર થાય એટલી વખત પૂંછડી કપાવાની પ્રક્રિયા થાય છે. તે ગરોળીની તંદુરસ્તી અને પરિસ્થિતિ પર આધારિત છે.”
યુનિવર્સિટી ઑફ શિકાગોના ‘જર્નલ ઑફ રિસર્ચ’માં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ પૂંછડી ભલે ગમે તેટલી વખત કપાઈ ગઈ હોય, છતાં “ઘા રૂઝાવવા, પોષક તત્ત્વોનો ઉપયોગ કરવો અને પેશીઓના વિભિન્નીકરણ પ્રક્રિયાને અસર થઈ શકે છે.
નવી પૂંછડી અસલ કરતા થોડીક ભિન્ન હોય છે
આ સંશોધન અનુસાર, “નવેસરથી ઊગતી પૂંછડી તેના કદ, આકાર અને કાર્ય સહિત ઘણી રીતે વિભિન્ન હોઇ શકે છે. અસ્તિત્વ (Survival) ટકાવી રાખવાની આ એક કુદરતી વ્યૂહરચના છે. આમ છતાં, તેને શારીરિક તણાવ (Tension)નો સામનો કરવો પડે છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, પૂંછડીને ફરીથી ઉગાડવા માટે ઘણી ઊર્જા (Energy)ની આવશ્યકતા પડે છે.”
તેઓ વધુમાં જણાવે છે, “પોતાના શરીરની વૃદ્ધિ, પ્રજનન અને રોગપ્રતિકારક શક્તિની ઊર્જાને ગરોળીએ આ કાર્યમાં લગાવવી પડે છે. આ ઉપરાંત, પૂંછડી ફરીથી ઊગી શકે ત્યાં સુધી ગરોળી શિકારીનો કે દુશ્મનનો સામનો કરવા માટે ઓછી સક્ષમ હોય છે. આ કારણે તેના શિકાર બનવાનું જોખમ વધી જાય છે.
અંતમાં તેઓ જણાવે છે કે, “આ ઉપરાંત, દીવાલ કે ઝાડ પર ચઢતી વખતે ઝડપ ઓછી થવી અને અસંતુલિત થવાની સમસ્યાઓનો ગરોળીએ સામનો કરવો પડી શકે છે. આથી જંગલમાં રહેનારી ગરોળીનું આયુષ્ય (Lifespan) ઓછું થઇ શકે છે અને ઘણીવાર તે પોતાની પૂંછડી ગુમાવી દે છે.”
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી સામાન્ય જાણકારી માત્ર છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:

