રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે એક મોટી જાહેરાત કરી છે. મોંઘવારીને અંકુશમાં લેવા માટે, મધ્યસ્થ બેન્કે અનિશ્ચિત નીતિ સમીક્ષામાં બેન્ચમાર્ક વ્યાજ દર 40 BPS વધારીને 4.40 ટકા કર્યો છે. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને, મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સર્વસંમતિથી રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો હતો.
શક્તિકાંત દાસે જાહેરાત કરી કે સેન્ટ્રલ બેન્કે તેનું અનુકૂળ વલણ જાળવી રાખ્યું છે. મોંઘવારી લક્ષ્યાંકની અંદર રહે તેની ખાતરી કરવામાં આવશે. RBI ગવર્નરે કહ્યું કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ યુદ્ધની આર્થિક અસરોને ધ્યાનમાં લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કેલેન્ડર વર્ષ માટે વૈશ્વિક વૃદ્ધિ અનુમાનમાં 100 બેસિસ પોઈન્ટ્સનો સુધારો કરવામાં આવ્યો છે.
CRR પણ વધ્યો
આ ઉપરાંત, કેન્દ્રીય બેન્કે 21 મે, 2022 થી પ્રભાવી રીતે કેશ રિઝર્વ રેશિયો (CRR) માં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ RBI ગવર્નરે કહ્યું કે ભૌગોલિક રાજકીય તણાવના કારણે મોંઘવારી વધી રહી છે.
શા માટે અચાનક વ્યાજ દરમાં વધારો કરવાનો લેવાયો નિર્ણય?
વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેન્કે આ પગલું ભર્યું છે. રિટેલ ઇન્ફ્લેશન છેલ્લા ત્રણ મહિનાથી 6 ટકાની લક્ષ્યાંકની ટોચમર્યાદાથી ઉપર છે. એપ્રિલમાં પણ તે ઊંચા સ્તરે રહેવાની શક્યતા છે. RBIને તેને બે ટકાથી ઉપર કે નીચે રાખવાની અને તેને ચાર ટકા પર જાળવવાની જવાબદારી આપવામાં આવી છે.
સાડા ચાર વર્ષ બાદ પોલિસીના દરમાં વધારો કરવામાં આવ્યો છે
નોંધનીય છે કે ઓગસ્ટ 2018 પછી પહેલીવાર રિઝર્વ બેન્કે પોલિસી રેટમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેને 25 બેસિસ પોઈન્ટ વધારીને 6.5 ટકા કર્યો હતો.
રેપો રેટ વધશે તો શું થશે?
હોમ લોન, ઓટો લોન કે પર્સનલ લોન લેનારાઓ માટે રેપો રેટમાં વધારો સારો નથી. પોલિસી વ્યાજ દરમાં વધારાને કારણે હવે લોન મોંઘી થશે. નોંધનીય છે કે 22 મે 2020થી દેશમાં દરોમાં કોઈ ફેરફાર થયો નથી. ગ્રાહકો પર EMIનો બોજ વધશે. વ્યાપારી બેન્કો RBI પાસેથી જે દરે લોન લે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે.
આ પણ વાંચો:જેલમાંથી છૂટ્યા બાદ મેવાણી વધુ આક્રમક બન્યા, દલિતોના સમર્થનમાં ગુજરાત બંધની ચેતવણી