ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક લોકસભા ચૂંટણી માટે ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે આ વખતની લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવી અટકળો હતી. પરંતુ ત્યારબાદ આ અટકળોનો અંત આવ્યો હતો અને અજય રાયને ટિકિટ અપાઇ હતી. પ્રિયંકા ગાંધીએ ચૂંટણી ના લડવા અંગે પહેલી વાર નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે તેની પર સંપૂર્ણ યુપીમાં પ્રચારની જવાબદારી છે અને 41 બેઠકો પર પાર્ટીને જીતાડવાની જવાબદારી છે. તેથી ચૂંટણી લડવી શક્ય નથી.
જણાવી દઇએ કે 28 માર્ચના રોજ રાયબરેલીમાં સોનિયા ગાંધી માટે ચૂંટણીપ્રચારમાં ઉતરેલી પ્રિયંકા ગાંધીને કાર્યકરોએ તેની ચૂંટણીમાં લડવાની માંગ કરી હતી જેના જવાબમાં તેને કાર્યકર્તાઓને જ પૂછ્યું હતુ કે હું વારાણસી થી ચૂંટણી લડુ? પ્રિયંકા ગાંધીના આ નિવેદન બાદ રાજકારણમાં તે વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડે તેવી ચર્ચાએ જોર પક્ડ્યું હતું.
એ બાદ કોંગ્રેસ પ્રવક્તા દીપક સિહે પણ પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં લડશે તેવો દાવો કર્યો હતો જેને કારણે સંભાવનાઓ વધુ મજબૂત બની હતી. તદુપરાંત પ્રિયંકા ગાંધીએ પણ તે વારાણસીથી ચૂંટણી જંગમાં ઉતરે તેવી વાત કહી હતી. જો કે અજય રાયની ઉમેદવાર તરીકેની જાહેરાત બાદ અટકળોનો અંત આવ્યો હતો.
જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી માટે વારાણસી બેઠક વીવીઆઇપી માનવામાં આવે છે. ગત 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જંગી બહુમતી મેળવીને જીત હાંસલ કરી હતી અને 2019માં પણ તેઓ આ જ બેઠક પરથી મેદાનમાં ઉતર્યા છે.