સંગરુર,
લોકસભા ચૂંટણી 2019 ને લઇને થતા પ્રચાર-પ્રસાર દરમિયાન લાફાકાંડ હવે જાણે કે સામાન્ય બની ગયો છે. હકીકતમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા બીબી રાજિંદર કૌર ભટ્ટલે ચૂંટણી રેલી દરમિયાન એક યુવકને થપ્પડ મારી હતી. યુવકે ભટ્ટલને તેના ક્ષેત્રમાં વિકાસને લઇને સવાલો પૂછ્યા હતા. આ સવાલોને કારણે તે રોષે ભરાયા હતા અને યુવકને લાફો માર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ યુવકને પકડી લીધો હતો અને ભટ્ટલ ફરી ચૂંટણી રેલીમાં ગયા હતા.
પૂર્વ સીએમ બીબી રાજિંદર કૌર અને સંગરુરના કોંગ્રેસના ઉમેદવાર કેવલ સિંહે રવિવારે બુશૈહરા ગામમાં પ્રચાર રેલી કરી હતી. ચૂંટણી રેલી દરમિયાન યુવકે ઢિલ્લોને તેના ક્ષેત્રમાં શું વિકાસ કર્યો તેવો સવાલ પૂછ્યો હતો. ત્યારબાદ યુવકે રાજિંદરને સવાલ પૂછ્યો હતો કે – આપ 25 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂકી છે, આપે શું કર્યું? તેનાથી ભટ્ટલ રોષે ભરાતા લાફો માર્યો હતો.
આ અંગે આપના નેતા ભગવંત માને ઘટનાને શરમજનક દર્શાવતા કહ્યું હતું કે થપ્પડ મારવાને બદલે યુવકના સવાલનો જવાબ આપવો જોઇએ. આ રીતે સવાલોથી ડરીને ભાગવું અયોગ્ય છે.
ભટ્ટલે કહ્યું કે કેટલાક લોકો જાણીબુજીને માહોલને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપ હારવાના ભયથી યુવકોને ભડકાવીને તેની પાસેથી આ પ્રકારની હરકતો કરાવે છે. યુવકો કોઇની કઠપૂતળી ના બને તેવો આગ્રહ છે.
નોંધનીય છે કે રાજિંદર ભટ્ટલ પંજાબની લેહરા વિધાનસભા બેઠકથી 1992 થી 2017 સુધી ધારાસભ્ય રહી હતી. તે સિવાય તે રાજ્યની પહેલી અને એકમાત્ર મહિલા મુખ્યમંત્રી રહી છે. 2017 માં જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.