લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે શરૂ થશે ત્યારે દેશના જુદા જુદા પક્ષો દ્વારા આચારસંહિતાનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રના પૂર્વ કર્મચારીઓએ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉભા કર્યા છે અને તે માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિઠ્ઠી પણ લખી છે.
66 પૂર્વ સરકારી કર્મચારીઓએ આચારસંહિતાના પાલન પ્રત્યે ચૂંટણી પંચની કાર્યવાહી સામે સવાલ ઉભા કર્યા છે. રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખનારમાં પૂર્વ વિદેશ સચિવ શંકર મેનન, દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ, પંજાબના પૂર્વ ડીજીપી જુલિયા રિબેરો, પ્રસાર ભારતીના પૂર્વ સીઈઓ જવાહર સરકાર અને ટ્રાઈના પૂર્વ ચેરમેન રાજીવ પુલ્લર જેવા પૂર્વ બ્યુરોક્રેટ્સ સામેલ છે.
ચૂંટણી પંચની ફરિયાદ કરતા આ પૂર્વ સરકારી અધિકારીઓએ તેમના પત્રમાં લખ્યું છે કે, ‘ઓપરેશન શક્તિ’ દરમિયાન એન્ટી સેટેલાઈસ મિસાઈલના સફળ પરિક્ષણ પછી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું, પીએમ મોદી પર બનેલી બાયોપિક ફિલ્મ, વેબ સિરીઝ અને બીજેપીના ઘણાં નેતાઓના વાંધાજનક ભાષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે વિશે ચૂંટણી પંચને કરવામાં આવેલી ફરિયાદ પછી પણ માત્ર દેખાડાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પૂર્વ અધિકારીઓ તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સત્તારુઢ પક્ષ અને કેન્દ્ર સરકાર તેમની શાખનો દૂરુપયોગ મનમાની રીતે કરી રહ્યા છે અને આચાર સંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. તેમના આવા ઈચ્છા પડે એવા વર્તનથી સ્પષ્ટ દેખાય છે કે ચૂંટણી પંચ માટે તેમના મનમાં કોઈ માન નથી.