રાજ્યમાં ચૂંટણી સમયે બીજા મતદાન કેન્દ્રો પર ભલે લાઈનો લાગતી હોય પરંતુ એક મતદાન કેન્દ્ર એવું છે જ્યાં એક જ મતદાર છે. ચૂંટણીપંચ દ્વારા માત્ર એક જ મતદાર માટે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.
જૂનાગઢના બાણેજ ગામ પાસે એક જ મતદાર માટે મતદાન કેન્દ્ર બનાવવામાં આવે છે.રાજ્યમાં એક વ્યકિત પણ પોતાના મત આપવાના અધિકારથી વંચિત ન રહી જાય તે માટે જુનાગઢના બાણેજ પાસેનું અનોખું મતદાન કેન્દ્ર દર વખતે ચર્ચાંમાં આવે છે.
ઉના મત વિસ્તારમાં આવેલા બાણેજ ગામથી 20 કિમી દૂર સાસણગીરની અંદર ભગવાની શીવનું મંદિર છે. આ શીવ મંદિરના પૂજારી ભરતદાસ મહારાજ એક માત્ર મતદાર છે જે મત આપે છે. મતદાનના દિવસે બે પોલીસ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચાર કર્મચારીઓનો કાફલો આવીનો પોલિંગ બૂથ શરુ કરે છે. જેમાં એક માત્ર વ્યકિતનું મતદાન કરે તે સાથે જ મતદાન મથકમાં 100 ટકા મતદાન નોંધાય છે.
નવાઇની વાત તો એ છે કે એક મતદાન પુરુ થયા પછી પણ નિયમ પ્રમાણે સાંજ સુધી મતદાન પૂર્ણનો સમય ના થયા ત્યાં સુધી કર્મચારીઓ બેસી રહે છે. ભારતમાં કુલ 9 લાખ જેટલા મતદાન મથકો છે પરંતુ આ પ્રકારનું પ્રથમ મતદાન મથક છે. બાણેજથી 20 કિમી દૂર આવેલા મંદિરના પૂજારી એક જાગૃ્ત મતદાર છે.
પહેલા તેઓએ મતદાન માટે 20 કિમી ચાલીને બાણેજ ગામ આવવું પડતું હતું. દૂગર્મ રસ્તા પર આવવા અને જવામાં જંગલી પ્રાણીઓથી માંડીને જીવ જંતુઓનો ભય રહેતો હતો. સામાન્ય રીતે કોઇ મતદારનું મતદાન મથક 1 કિમીથી વધારે દૂર હોવું જોઇએ નહી. આવા સંજોગોમાં 2009ની લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર આ એક મતદાર માટે ચૂંટણી પંચે મતદાન મથક ખોલવાનું નકકી કર્યું હતું. 2014ના લોકસભા ઇલેકશનમાં પણ બાણેજના એક મતદારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ અચૂક મતદાન કરે છે.