@નિકુંજ પટેલ
ગોરખપુરની આ હોસ્પિટલમાં મડદાનો ઈલાજ કરવામાં આવતો હતો. આથી પરિવારજનો પાસેથી વધુમાં વધુ પૈસા પડાવી શકાય. વેન્ટીલેટર પર સુવડાવીને મૃતક દર્દીનો ઈલાજ કર્યા બાદ હોસ્પિટલ પ્રશાસને પિડીત પરિવારને મોટુ બિલ પકડાવી દીધું હતું. હોસ્પિટલના આ કરતૂત સદર્ભે જીલ્લા પ્રશાસને કાર્યવાહી કરી છે. હોસ્પિટલને સીલ કરીને સંચાલક સહિત આઠ જણાની ધરપકડ કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં મેડિકલ માફિયાઓની મોટી ગેંગ પર ગાળિયો મજબૂત કરવામાં આવ્યો છે. આ કેસમાં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટર, સંચાલક સહિત આઠ જણાની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને જાળમાં ફસાવીને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને તેમની પાસેતી મોચી રકમ વસુલતા હતા.
નવાઈની વાત એ છે કે આ હોસ્પિટલમાં મોડી રાત્રે પડેલા દરોડા દરમિયાન આઈસીયુમાં લાશનો પણ ઈલાજ કરવામાં આવી રહ્યો હતો. જેના બદલામાં પરિવારજનો પાસેથી પૈસા વસુલવામાં આવતા હતા. આ બનાવમાં મૃતક શિવ બાલક પ્રસાદના પુત્રએ દોષીઓ પર સખત કાર્યવાહીની માંગણી કરી છે. તેણે કહ્યું કે અમને એમ કે પિતાજી જીવતા છે, પરંતુ ડોક્ટર તેમના મૃત્યુ બાદ પણ ઈલાજનો ઢોંગ કરતા રહ્યા.
ગોરખપુરના ડીએમ કૃષ્ણા કરૂણેશ, એસએસપી ડો.ગૌરવ ગ્રોવર અને એસપી સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઈની હાજરીમાં આઠ આરોપીઓ કે જેમાં ઈશુ હોસ્પિટલના સંચાલક, ડોક્ટર, પ્રબંધક, એમ્બ્યુલન્સનો ચાલક અને અન્ય આરોપીઓને પોલીસ લાઈન્સ સભાગૃહમાં હાજર કરવામાં આવ્યા હતા. દરમિયાન એસપીએ જણાવ્યં્ કે જીલ્લા પ્રશાસન, સ્વાસ્થય વિભાગ અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં 8 મેડિકલ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો બીઆરડી મેડિકલ કોલેજમાં આવતા આસપાસના ગ્રામિણ વિસ્તાર અને બિહારના પરેશાન દર્દીઓને ડોક્ટર અને મેડિકલ સ્ટાફ બનીને જાળમાં ફસાવતા હતા. બાદમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવાના નામે પૈસા વસુલતા હતા.
એસપીએ જણાવ્યું હતું કે આ અંગે માહિતી મળતા રામગઢતાળ પોલીસ સ્ટેશન વિસ્તારના પૈડલેગંજ રૂસ્તમપુર રોડ સ્થિત ઈશુ હોસ્પિટલ પર જીલ્લા પ્રશાસન અને સ્વાસ્થય વિભાગની ટીમોએ જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડામાં આઈસીયુમાં એક એવો પણ દર્દી જોવા મળ્યો જેનું પહેલેથી જ મોત થઈ ચુક્યું હતું. જ્યાં તેની પર સારવારને બહાને મોટી રકમ મેળવવા ભરતી કરવામાં આવ્યો હતો.
એસએસપીની તપાસ દરમિયાન હોસ્પિટલમાં ભરતી થયેલા ત્રણ દર્દી જોવા મલ્યા હતા. હોસ્પિટલમાં કોઈ ડોક્ટર હાજર જોવા મળ્યો ન હતો. અહીં માત્ર પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત હતો. જેમની શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા ઈન ફાર્મસી છે. પેરામેડિકલ સ્ટાફે જણાવ્યું કે હોસ્પિટલ નિતીન યાદવ દ્રારા સંચાલિત કરાતી હતી. હોસ્પિટલ ડો. રણંજય પ્રતાપ સિંહના નામથી રજીસ્ટર્ડ છે.
ભતી કરાયેલા ત્રણેય દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે ત્રણેય દર્દીઓ પહેલા બીઆરડી મેડિકલ કોલેજમાં ભર્તી કરાવવા લઈ જવાયા હતા. જ્યાં આરોપીઓએ મેડિકલ કોલેજમાં દર્દીઓ માટે યોગ્ય સુવિધા ન હોવાનું કહીને તેમને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા હતા. આ દર્દીઓને ઈશુ હોસ્પિટલમાં સારી વ્યવસ્થા હોવાનું કહીને ખાનગી એમ્બ્યુલન્સમાં લાવીને ભરતી કરાયા હતા. જ્યાં સારવારના નામે પરિવારજનો પાસેથી લાખો રૂપિયા જમા કરાવી લેવાયા હતા. તેમછતા કોઈ ડોક્ટર દર્દીને યોગ્ય રીતે તપાસવા આવતા ન હતા. જેને કારણે શિવ બાલક પ્રસાદ નામના દર્દીની હાલત બગડવા વાગી હતી. પરિવારજનો અવારનવાર ડોક્ટરને બોલાવવા જણાવતા હતા.
હોસ્પિટલના સંચાલક રેનુ અને તેના પતિ નિતીન અને નિતીનના ભાઈ અમન જાતે દર્દીને તપાસી રહ્યા હતા. અંતે ડોક્ટર અને ચિકિત્સાની યોગ્ય સુવિધાને અભાવે દર્દીનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ પણ ખાનગી હોસ્પિટલના સંચાલક નિતીન અને અમન દ્વારા મૃતકના મોંઢામાં ઓક્સિજન માસ્ક લગાવીને સારવારનું નાટક કરવામાં આવી રહ્યું હતું. દવા અને ઈંન્જેક્શનના નામે પૈસા વસુલવામાં આવતા હતા.
દેવરીયા નિવાસી મૃતક દર્દીના પુત્ર રામઈશ્વરે જણાવ્યું કે અચાનક તેના પિતાને ચક્કર આવ્યા અને તે પડી ગયા હતા. તેમને અમે સદર હોસ્પિટલ લઈ ગયા જ્યાં એક કલાક તેમની સારવાર ચાલી અને ત્યારબાદ અન્ય ઠેકાણે રિફર કરાયા હતા. જેમાં તેમને સરકારી એમ્બ્યુલન્સ દ્વારા બીઆરડી મેડિકલ કોલેજ લઈ જવાયા હતા. અહીં જેવા તેમના પિતાને વ્હિરચેરથી ઉતારવામાં આવ્યા ત્યારે એક ખાનગી એમ્બ્યુલન્સનો ચાલક મળી ગયો હતો. તેણે પેપર જોઈને કહ્યું કે અહીં જગ્યા ખાલી નથી. તમે ગોરખનાથ હોસ્પિટલ જાવ. આથી અમે તેની ખાનગી એમ્બ્યુલન્સમાં ગોરખનાથ ગયા તો ત્યાં પણ દાખલ કરાયા નહી. તેમણે કહ્યું કે ફાતિમા હોસ્પિટલ લઈ જાવ. આથી ખાનગી એમ્બ્યુલન્સનો ચાલક બોલ્યો કે ત્યાં પણ ડોક્ટર નહી મળે. ચાલો તમને એક ખાનગી હોસ્પિટલ લઈ જાઉ છું ત્યાં સારો ઈલાજ થશે. 24 કલાક ડોક્ટર મળશે. તેની વાત માનીને પરિવારજનો દર્દીને ઈશું હોસ્પિટલ લઈ ગયા. જ્યાં સારવારના નામે લાખો રૂપિયા પડાવી લેવાયા અને મોત બાદ પણ ઈલાજનું નાટક કરતા રહ્યા.
મૃતકના પુત્ર રામઈશ્વરનું કહેવું છે કે પહેલા હોસ્પિટલના સ્ટાફે રૂ. 5000 લીધા.બાદમાં 20 હજાર, ત્યારબાદ 50 હજાર સુધીનું બિલ બનાવ્યું. અમને એ જણાવવામાં આવ્યું ન હતું કે તેમના પિતા મૃત્યુ પામ્યા છે. તેમને ઓક્સિજન સપોર્ટ અને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યારે દરોડો પડ્યો ત્યારે ખબર પડી કે મારા પિતાનું મૃત્યુ થઈ ચુક્યું છે. તેમછત્તા તેમની સારવાર કરવામાં આવી રહી છે. વધુમાં તેણે કહ્યું કે જે થવાનું હતું તે તો થઈ ગયું. અમે લોકો શુ કરી શકીએ. પરંતુ હવે દોષીઓને કડક સજા થવી જોઈએ. અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ. અહીં બે ત્રણ દર્દીઓ પણ હતા તેમની પાસેથી પણ લાખો રુપિયા લઈને ઈલાજ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી
આ પણ વાંચોઃAmerica/ભારતના ડ્રાઇવિંગ લાઇસન્સ પર અમેરિકામાં પણ વાહન ચલાવી શકો છો,જાણો નિયમ
આ પણ વાંચોઃઉમેદવારની યાદી/સમાજવાદી પાર્ટીએ લોકસભાની ત્રીજી ઉમેદવારની યાદી જાહેર કરી,શિવપાલ યાદવ આ બેઠક પર ચૂંટણી લડશે