અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સાસમ ગામમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા ચાર મજૂર દટાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધરાશાયી થયેલ મકાનની દિવાલના કાટમાળ નીચે ચાર મજૂરો દટાયા હતા. જેમાંથી ત્રણ મજૂરના ઘટના સ્થળ પર મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાસમ ગામમાં એક જૂના પુરાણા મકાનને ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જેના કારણે મકાન ઉતારવાની કામગીરી કરી રહેલા ચાર મજૂર ઘરની અંદર જ દિવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં ત્રણ મજૂરના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે એક મજૂરને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સાસમ ગામમાં અચાનક દિવાલ ધરાશાયી થતા આસપાસમાં રહેતા લોકો પણ ગભરાઈને બહાર આવી ગયા હતા. આ ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા તુરંત રાહત બચાવ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
રાહત બચાવની ટીમે સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવી મૃતક મજૂરો અને ઈજાગ્રસ્ત મજૂરને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા. હાલમાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, મૃતકોને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નાનકડાં એવા આ સાસમ ગામમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં ત્રણ મજૂરના મોત નીપજયા છે. જેના કારણે ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.