અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ- ગુમાસ્તા ધારા અન્વયેના એકમો માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો અભિગમ અપનાવતાં એક મહત્વપૂર્ણ સૈધ્ધાંતિક અને ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં વેપાર-વ્યવસાયકારોને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા કરી આપીને લાયસન્સ પ્રથા દૂર કરવાનો જે અભિગમ અપનાવેલો છે તેમાં પેટ્રોલ પંપ ધારકોને લાયસન્સ રિન્યુઅલમાંથી મુકિતના નિર્ણય બાદ આ વધુ એક સૈધ્ધાંતિક નિર્ણય તેમણે કર્યો છે.
આ નિર્ણય અંતર્ગત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે નોંધાયેલા વિવિધ એકમોને હવેથી દર વર્ષે લાયસન્સ પરવાનગી રિન્યુઅલ કરવાને બદલે વન ટાઇમ ફી ભરીને પરવાનગી ચાલુ રાખી શકવાની સરળતા થઇ છે.
વન ટાઇમ ફી ભરીને લાયસન્સ-પરવાનગી ચાલુ રાખી શકાશે
ગુજરાતમાં ઇન્સ્પેકટર રાજમાંથી મુકિત અપાવતા આ નિર્ણય અનુસાર હવેથી જે વન ટાઇમ ફી ના ધોરણો નિયત કરવામાં આવ્યા છે. તેમાં ૧૦ કરતાં વધુ કર્મચારીઓ ધરાવતાં વાણિજ્યિક એકમ માટે રૂ. પ૦૦/ જયારે ૧૦ કરતાં ઓછા કર્મચારીઓ હોય તેવા એકમો માટે રૂ. રપ૦/ અને ૧૦ કે તેથી વધુ કામદારો-કારીગરો ધરાવતી દુકાનો માટે વન ટાઇમ ફી રૂ. પ૦૦/ તથા ૧૦ થી ઓછી કામદાર-કારીગર સંખ્યા ધરાવતી દુકાનો માટે રૂ. ૨પ૦/ની ફી રાખવાનું સૂચવવામાં આવ્યું છે.
વન ટાઇમ ફી ના આ ધોરણોમાં રેસિડેન્સિયલ હોટેલ્સ માટે રૂ. રપ૦૦/, રેસ્ટોરન્ટ અને ખાન-પાનના ગૃહો માટે રૂ. ૧૦૦૦/, સિનેમાગૃહો તેમજ જનતા જનાર્દનના જાહેર મનોરંજન માટેના સ્થળો માટે રૂ. પ હજાર તેમજ જે એસ્ટાબ્લિશમેન્ટમાં કોઇ કર્મચારી ન હોય તેમણે વન ટાઇમ ફી તરીકે માત્ર રૂ. રપ૦/ ભરવાના રહેશે.