ભગવાન રામ અને નરેન્દ્ર મોદીના નામે ભાજપના સંગઠનની તાકાતના ઉમેરા સાથે તેના ઘણા નબળા ઉમેદવારો પણ ચૂંટણીની વેતરણી તરી ગયા છે.
ગુજરાતમાં ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી. ૨૩ જિલ્લા પંચાયતો ૫૮ નગરપાલિકાઓ અને ૨૦૧થી વધુ તાલુકા પંચાયતો કબ્જે કરી હતી. જ્યારે તે વખતે કુલ બેઠકોની વાત કરીએ તો જિલ્લા પંચાયતોમાં ૯૭૨ બેઠકો પૈકી કોંગ્રેસને ૫૯૫ ભાજપને ૩૬૮ અને અન્યોને ૯ બેઠકો પર જીત મળી હતી. જ્યારે ૨૩૧ તાલુકા પંચાયતોની ૪૭૧૫ બેઠકોમાંથી કોંગ્રેસને ૨૫૫૫ ભાજપને ૨૦૧૯ અને અન્યને ૧૪૧ બેઠકો પ્રાપ્ત થઈ હતી. જ્યારે ૮૧ નગરપાલિકાઓની ૨૬૭૫ બેઠકોમાંથી ભાજપને ૧૧૯૭, કોંગ્રેસને ૬૭૩ અને અન્યને ૨૦૫ બેઠકો જ્યારે બસપાને ૪ બેઠકો મળી હતી. તે વખતે મોટાભાગની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું. જ્યારે નગરપાલિકાઓ પૈકી મોટા ભાગના સ્થળોએ ભાજપનું શાસન હતું. જ્યારે ૨૦૨૦ના ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી ફેબ્રુઆરીની આખરમાં યોજાઈ.
તેમ છતાં ભાજપને તમામ ૩૧ જિલ્લા પંચાયતોમાં જીત મળી છે. એટલે સો ટકા વિજય મળ્યો છે. નગરપાલિકાઓમાં ૮૧ પૈકી ૭૮માં ભાજપે બેમાં કોંગ્રેસે તો અન્ય સ્થળે એક પાર્ટીએ જીત મેળવી છે. જ્યારે તાલુકા પંચાયતોમાં ૨૧૧માં ભાજપની સત્તા આવી છે કોંગ્રેસને માત્ર ૧૭ તાલુકા પંચાયતો જાળવીને સંતોષ માનવો પડ્યો છે. આ કોઈ જેવું પરિણામ તો ન જ કહી શકાય.
બેઠકોની વાત કરીએ તો ૨૩૧ તાલુકા પંચાયતોની ૪૭૭૪ કુલ બેઠકોમાંથી ભાજપને ૩૩૫૧, કોંગ્રેસને ૧૨૫૨ અને આમ આદમી પાર્ટીને ૩૧ અપક્ષોને ૪ અને અન્યોને ૧૬ બેઠક પર જીત મળી છે. જિલ્લા પંચાયતોની બેઠકો પૈકી ૭૬૯ બેઠકો પર કોંગ્રેસ અને ૧૬૯ બેઠકો પર ભાજપ અને બે બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ૮૧ નગરપાલિકાઓમાં ભાજપને મળેલી ૨૦૭૪ બેઠકો સામે કોંગ્રેસને માત્ર ૩૮૦ અને આમ આદમી પાર્ટીને પણ ૧૫ કરતા વધુ બેઠકો મળી છે.
આમ ૨૦૧૫માં કોંગ્રેસને આ ત્રણેય સ્તરની ચૂંટણીમાં જે બેઠકો મળેલી તેમાંથી મોટા ભાગની બેઠકો ભાજપે આંચકી લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી અંગે પ્રતિભાવ આપતા કહ્યું છે તે પ્રમાણે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપને જે પરાજય મળેલો તેનો વ્યાજ સાથેનો બદલો પ્રજાએ આપી દીધો છે. જે રીતે મહાનગરોમાં જે પરિણામ આવ્યા તેનું પુનરાવર્તન નગરો અને ગામડાઓમાં પણ થયું છે. આ પરિણામો માટે ભાજપનો દાવો તો પહેલેથી જ હતો. કોંગ્રેસ પણ સફળતાનો દાવો કરતી હતી. પરંતુ પરિણઆમ બાદ કોંગ્રેસને કહેવું પડ્યું છે. તેના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ રાજીનામું આપતા પહેલા કહેવું પડ્યું છે કે ધારણા કરતાં ઘણા વિપરીત પરિણામો આવ્યા છે તેનું કારણ બીજું જે કાંઈ હોય તે પણ એ તો છે જ કે અમિત ચાવડા પોતાના વતનના જિલ્લો સાચવી શક્યા નથી. એકમાત્ર ઓકલાવ સિવાય એકપણ તાલુકા પંચાયતમાં જીત મળી નથી જ્યારે રાજીનામું આપી મેદાન છોડી જનારા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના જિલ્લા અમરેલીમાં ત્રણેય સ્થળે ભાજપની ભવ્ય જીત અને કોંગ્રેસનો નામોશીભર્યો પરાજય થયો છે. તમામ પાંચ નગરપાલિકાઓ (અમરેલી સહિત) મોટા માર્જિનથી ગુમાવી છે. જિલ્લા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે અને તાલુકા પંચાયતોમાં પણ કમળ સોળે કળાએ ખીલ્યું છે.
જ્યારે મહાનગરોમાં સુરતમાં ૨૭ બેઠકો અને સરેરાશ ૧૬ ટકા કરતાં વધુ મતો મેળવીને ગુજરાતમાં એન્ટ્રી મારનાર આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય અને નગરોમાં પહેલે જ ધડાકે પ્રવેશ મેળવ્યો છે. જિલ્લા પંચાયતોની બે બેઠકો જીતી છે. તો તાલુકા પંચાયતોમાં પણ ૩૦ આસપાસ અને નગરપાલિકાઓમાં પણ ૨૦ આસપાસ બેઠકો મેળવી છે. આ બેઠકો તેણે કોની પાસેથી આંચકી છે તે મહત્વનું નથી પણ બે મોટા પક્ષો સામે લડત આપીને આ બેઠકો મેળવી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જે બેઠકો જીતી છે તે બાબત ભૂતકાળની એક માન્યતા કે પ્રણાલિકા હતી કે ગુજરાતમાં ત્રીજુ પરિબળ ક્યારેય સફળતા મેળવતું જ નથી તે માન્યતાને ખોટી પાડી છે. ભૂતકાળમાં કોંગ્રેસ કે ભાજપમાંથી અલગ પડીને બનાવાયેલા કોઈપણ પ્રાદેશિક પક્ષે આ પ્રકારની સફળતા મેળવી જ નથી તે પણ હકિકત છે.
જ્યારે હૈદરાબાદના મુસ્લિમ નેતા ઓવૈસીના પક્ષ એ.આઈ.એણ.એમ. પણ છોટુભાઈ વસાવાના પક્ષ બીટીપી સાથે જોડાણ કરીને ગુજરાતમાં ચૂંટણી લડ્યો મહાનગરો પૈકી અમદાવાદમાં ૭ બેઠકો પર વિજય મેળવીને મહાનગરોમાં પ્રવેશ કર્યો તેવી જ રીતે ગોધરા, મોડાસા વિગેરે સ્થળોએ આઠ આસપાસ બેઠકો જીતીને ગુજરાતના સેમિ અર્બન વિસ્તારોમાં પગપેસારો કર્યો છે. જ્યારે બસપાએ જામનગરમાં ત્રણ બેઠક સાથે હાજરી પૂરાવી હતી તે જ રીતે અમુક નગરો અને તાલુકાઓમાં હાજરી પૂરાવી છે. તે જેવી તેવી વાત નથી.
આ ચૂંટણીમાં કોંગ્રેસના એક ધારાસભ્ય નગરપાલિકામાં હાર્યા છ થી વધુ કોંગ્રેસી ધારાસભ્યોના પુત્ર પણ પરાજય પામ્યા તો બીટીપીના મોવડી છોટુભાઈ વસાવાનો પુત્ર પણ હાર્યો છે. ઓવૈસી સાથેનું બીટીપીનું જોડાણ ઓવૈસીને ફળ્યું નથી. ઓવૈસીએ તેનો ભરપુર ફાયદો ઉઠાવ્યો છે.
મહાનગરોના પરિણામો બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહેલું કે આતો ટ્રેલર છે. પીક્ચર બાકી છે હવે વિશ્લેષકો પણ એમ કહેતા થઈ ગયા છે કે આ બીજું ટ્રેલર પણ ભાજપ માટે એક તરફી પરિણામોનું રહ્યું છે અને બન્ને ચૂંટણીનો સરવાળો માંડો તો એવું કહી શકાય કે આજ સ્થિતિ ચાલુ રહી અને કોંગ્રેસના નેતાઓ આ પરિણામોમાંથી બોધપાઠ લેવાને બદલે કોંગ્રેસ જો સંગઠન મજબૂત નહિ બનાવે અને ટાંટિયા ખેંચ ચાલુ રાખશે અને લોકોનો અવાજ યોગ્ય રીતે રજૂ કરવામાં નિષ્ફળ જવાની પરંપરા ચાલુ રાખશે તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૮૦ બેઠકોનો લક્ષ્યાંક સફળ થાય કે નહિ તે જુદી વાત છે પરંતુ ૧૯૮૨માં માધવસિંહ સોલંકીના સમયગાળામાં કોંગ્રેસે ૧૪૯ બેઠકો જીતીને સર્જેલો વિક્રમ તૂટી જશે તેવું મોટાભાગના વિશ્લેષકો માને છે.
કોંગ્રેસ મુક્ત ભારત ગમે ત્યારે થાય પણ કોંગ્રેસ મુક્ત ગુજરાતની દિશામાં ડગ મંડાઈ ચૂક્યા છે મહાનગર પાલિકામાં સુરત, જિલ્લા પંચાયતોમાં પંચમહાલ અને પાંચ નગરપાલિકાઓમાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું નથી. ૧૧ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસને સીંગલ ડીજીટની બેઠકો મળી છે. ૬૦ ટકા નગરો અને ૭૦ ટકા નગરપાલિકાઓમાં આવી જ હાલત છે. મહાનગરો બાદ વી.આર. એટલે વિજય રૂપાણી અને સી.આર. એટલે કે સી.આર. પાટીલનો જાદુ ગામડાઓમાં પણ ચાલી ગયો છે. જો કે વડાપ્રધાન મોદી અને રામનું નામ પણ ચાલ્યા જ છે.
@હિંમત ઠક્કર , ભાવનગર