નવી દિલ્હી,
મોદી સરકાર દ્વારા દેશની સામાન્ય જનતાને બેન્કિંગ સેક્ટરમાં મોટી રાહત આપવામાં આવી છે. હવેથી બેન્કોના ATMમાંથી પૈસા નીકાળવા પર અને નવી ચેક બુક લેવા માટે હવે ગ્રાહકોને વધારાનો ટેક્સ આપવો પડશે નહિ, કારણ કે સરકાર દ્વારા આ સુવિધાઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બહાર કાઢવામાં આવી છે.
પરંતુ, ક્રેડિટ કાર્ડના બીલની ચુકવણીમાં લાગતો વિલંબ, મ્યુચ્યુઅલ ફંડમાંથી બહાર નીકળવા પર લગાવવામાં આવતા ચાર્જ અને બિન ભારતીયો દ્વારા વીમા પોલીસી ખરીદી જેવી સુવિધાઓ પર ગ્રાહકોને વધારાનો ટેક્સ ચૂકવવો પડશે.
મહેસૂલ વિભાગ દ્વારા બેન્કિગ, ઇન્શ્યોરન્સ અને સ્ટોક બ્રોકર સેકટરમાં જીએસટી લાગવા તેમજ આ સુવિધાઓને લઇ વારંવાર ઉઠતા પ્રશ્નોને લઇ એક સેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સિક્યોરિટાઈઝેશન, ડેરિવેટીવ, ભવિષ્યના આગળના કરાર સાથે જોડાયેલ લેણદેણને GSTમાંથી રાહત અપાઈ છે.
મહત્વનું છે કે, ગત મહીને જ બેન્કોમાં નિશુલ્ક સેવાઓ માટે પણ સર્વિસ ટેક્સ ચુકવવાની નોટિસ મળ્યા પર સરકારના નાણા મંત્રાલય દ્વારા મહેસૂલ વિભાગને આ લેણદેણને GSTમાંથી બહાર લાવવા અંગે આગ્રહ કર્યો હતો.