New Delhi News/ ITATનો મોટો ચુકાદો: ₹1.84 કરોડનો દંડ રદ, વિદેશી રોકાણ મામલે કરદાતાને મોટી રાહત

મામલો દિલ્હી સ્થિત income Tax Appellate Tribunal(ITAT) સુધી પહોંચ્યો ત્યારે સમગ્ર કેસમાં મોટો વળાંક આવ્યો.

India
મામલો દિલ્હી સ્થિત income Tax Appellate Tribunal(ITAT) સુધી પહોંચ્યો ત્યારે સમગ્ર કેસમાં મોટો વળાંક આવ્યો.

New Delhi News : વિદેશમાં કમાયેલી આવકમાંથી કરવામાં આવેલા રોકાણને લઈને ગુરુગ્રામના એક કરદાતા સામે આવકવેરા વિભાગે (Income Tax Department)કાર્યવાહી કરી હતી. વિભાગે આ વિદેશી રોકાણને અઘોષિત સંપત્તિ ગણાવીને Black Money Act હેઠળ કાર્યવાહી શરૂ કરી અને અંતે આશરે ₹1.84 કરોડનો દંડ ફટકાર્યો હતો. પરંતુ મામલો દિલ્હી સ્થિત income Tax Appellate Tribunal(ITAT) સુધી પહોંચ્યો ત્યારે સમગ્ર કેસમાં મોટો વળાંક આવ્યો. ITATએ વિભાગની કાર્યવાહી અને દંડના આદેશને રદ કરીને કરદાતાને રાહત આપી.

સિંગાપોરની કમાણીમાંથી કર્યું હતું રોકાણ

ગુરુગ્રામના રહેવાસી અમિત વર્મા (નામ બદલ્યું છે) સિંગાપોરમાં કામ કરતા હતા. 19 મે, 2015ના રોજ તેમણે બર્મુડા આધારિત વૈશ્વિક રોકાણ ફંડમાં આશરે US$300,000નું રોકાણ કર્યું હતું.

આ રોકાણ 16 માર્ચ, 2016ના રોજ રિડીમ કરવામાં આવ્યું હતું અને તેના બદલામાં આશરેUS$314,000મળ્યા હતા. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ લગભગ ₹3 કરોડની આસપાસ હતી.

કરદાતાનું કહેવું હતું કે આ રોકાણ સંપૂર્ણપણે સિંગાપોરમાં મળેલા પગારમાંથી કરવામાં આવ્યું હતું અને તેમાં ભારતીય સ્ત્રોતની કોઈ રકમનો ઉપયોગ થયો નહોતો.

આવકવેરા વિભાગે ઉઠાવ્યો સવાલ

ભારત પરત આવ્યા બાદ આ વિદેશી રોકાણ આવકવેરા વિભાગ (Income Tax Department)ના ધ્યાનમાં આવ્યું. વિભાગે તેને અઘોષિત વિદેશી સંપત્તિ તરીકે ગણાવીને Black Money Act હેઠળ કાર્યવાહી શરૂ કરી.

કરદાતાએ પોતાની તરફથી સિંગાપોરની આવકમાંથી રોકાણ કર્યાની દલીલ કરી હતી. સાથે જ તેમણે ભારત-સિંગાપોર Double Taxation Avoidance Agreement (DTAA)ની જોગવાઈઓનો પણ આધાર લીધો હતો.

જોકે, આ દલીલો સાથે આવકવેરા અધિકારી સંમત થયા નહોતા.

AOએ લગાવ્યો 30% ટેક્સ

આવકવેરા અધિકારીએ કેટલાક આધાર પર કરદાતાની દલીલ નકારી હતી. અધિકારીના મતે સંબંધિત ફંડ કંપની ભારતમાં પબ્લિક લિમિટેડ કંપની તરીકે નોંધાયેલી હતી અને કરદાતા સંબંધિત નાણાકીય વર્ષમાં સિંગાપોરના રહેવાસી નહોતા.

ત્યારબાદ Black Money Actની Section 3(1) હેઠળ રોકાણના વાજબી બજાર મૂલ્ય પર 30%ના દરે કર લાદવામાં આવ્યો. આ સાથે કરદાતા પર આશરે ₹1.84 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો.

કમિશનર (અપીલ) સમક્ષ પણ કરદાતાને રાહત મળી નહોતી.

ITATમાં આવ્યો મોટો વળાંક

ત્યારબાદ કરદાતાએ દિલ્હી ITATનો દરવાજો ખખડાવ્યો. અહીં તેમના વકીલોએ મુખ્યત્વે નોટિસની કાયદેસર માન્યતા પર સવાલ ઉઠાવ્યો.

દલીલ કરવામાં આવી હતી કે આવકવેરા વિભાગે 1 નવેમ્બર, 2018ના રોજ Black Money Actની Section 10(1) હેઠળ જે નોટિસ જારી કરી હતી, તેમાં માત્ર Assessment Year 2016-17 અને 2017-18નો ઉલ્લેખ હતો.

જ્યારે સંબંધિત કાર્યવાહી માટેAY 2019-20નો ઉલ્લેખ જ ન હતો.

નોટિસમાં ખામી બની નિર્ણાયક મુદ્દો

કરદાતાની મુખ્ય દલીલ હતી કે જો વિભાગે AY 2019-20 માટે કાયદેસર રીતે જરૂરી Section 10(1)ની નોટિસ જ જારી કરી ન હોય, તો તે વર્ષ માટે આકારણી કરવાની સત્તા અધિકારી પાસે રહેતી નથી.

ITATએ આ કાનૂની મુદ્દાને મહત્વ આપ્યું અને વિભાગની કાર્યવાહી સામે કરદાતાની દલીલ સ્વીકારી.

₹1.84 કરોડનો દંડ રદ

ITATએ અંતે Section 10 હેઠળ શરૂ કરવામાં આવેલી કાર્યવાહી, સંબંધિત આકારણી આદેશ તેમજ ₹1.84 કરોડના દંડના આદેશને બાજુ પર રાખ્યો.

આ ચુકાદાથી કરદાતાને મોટી રાહત મળી. કેસ એ વાત પણ દર્શાવે છે કે વિદેશી સંપત્તિ અથવા રોકાણ સંબંધિત કરવેરા કાર્યવાહી દરમિયાન માત્ર ટેક્સની ગણતરી જ નહીં, પરંતુ કાયદેસર નોટિસ અને અધિકારક્ષેત્રની પ્રક્રિયા પણ અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે.

કરદાતાઓ માટે શું શીખવા જેવું?

આ કેસમાં મુખ્ય મુદ્દો વિદેશી રોકાણ કરતાં પણ કાયદેસર પ્રક્રિયા અને યોગ્ય નોટિસ રહ્યો. વિદેશમાં કમાણી કરનારા ભારતીયો માટે વિદેશી રોકાણ, સંપત્તિની જાહેરાત અને ટેક્સ રિટર્નમાં યોગ્ય disclosureનું મહત્વ આ કેસ ફરીથી સામે લાવે છે.


આ પણ વાંચો : સુરતમાં આવકવેરા વિભાગની 7 દિવસની કાર્યવાહી દરમિયાન ₹1900 કરોડના બેનામી વ્યવહારો બહાર આવ્યા, 30થી વધુ લોકર ફ્રીઝ

આ પણ વાંચો : સુરતમાં આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, મહાકાલ ગ્રુપ સહિત અગ્રણી ઉદ્યોગપતિઓ પર DDIના દરોડા

આ પણ વાંચો : આવકવેરા વિભાગનાં કચ્છના રામી ગ્રુપની હોટેલ પર દરોડા