પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે અને હવે બીજા તબક્કો શરુ થશે. બીજા ચરણમાં હાઇ-પ્રોફાઇલ સીટ છે નંદીગ્રામ. કારણ કે આ સીટ પર મમતા બેનરજી અને શુભેન્દુ અધિકારી સામસામે છે ત્યારે બન્ને વચ્ચે હવે યુદ્ધના નગારા વાગી ચૂક્યા છે. સોમવારે એટલે કે ધુળેટીના દિવસે મમતાએ વ્હીલચેર પર રોડ શો કર્યો. નંદીગ્રામમાં મમતા ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન મમતાએ શુભેન્દુ અને તેમના પિતા પર જોરદાર પ્રહાર કર્યો. મમતાએ ગૃહ મંત્રી અમિત શાહ પર પણ રાજકીય તીર છોડ્યા.
મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે મેં નંદીગ્રામ આંદોલનનું નેતૃત્વ કર્યું તો હિન્દુ-મુસ્લિમ બધા એક સાથે લડ્યા. અચાનક શુભેન્દુએ ભગવો પહેરી લીધો, જાણે કે કોઇ સંત ન હોય. 1998માં જ્યારે ટીએમસી બની તો તેઓ ક્યાં હતા. મેં અનેક વખત ટિકિટ આપી તો દર વખતે હાર્યા. જ્યારે મારી સરકાર આવી ત્યારે તેઓ પહેલીવાર ચૂંટણી જીત્યા.
મમતા બેનર્જીનું અમિત શાહ પર નિશાન
નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે આજે અમિત શાહે બંગાળ અંગે ટ્વિટ કર્યું. તેમને પૂછો કે છેવટે યુપીના હાથરસમાં શું થયું હતું? તે એ મુદ્દે કેમ નથી બોલતા? તે બોગસ સમાચારો ફેલાવતા રહે છે. ખોટા ખેલ ખેલી રહ્યા છે.
મહત્વનું છે કે મમતાનું એ નિવેદન ગૃહ મંત્રી અમિત શાહના એ ટ્વીટ પછી આવ્યું જે તેમણે શોવા મજૂમદારના મોતને લઇને કર્યું હતું. શાહે ટ્વીટમાં લખ્યું કે બંગાળની બેટી શોવા મજૂમદારના નિધનથી મન વ્યથિત છે. ટીએમસીના ગુંડાઓએ તેમને એટલા ક્રુરતાપૂર્વક માર્યા કે તેમનો જીવ જતો રહ્યો. તેમણે કહ્યું કે શોવા મજૂમદારના પરિવારનું દર્દ અને ઘા મમતા દીદીનો લાંબા સમય સુધી પીછો નહીં મૂકે.
મમતાનો આરોપ
નંદીગ્રામમાં મમતા બેનરજીએ શુભેન્દુ અધિકારી અને તેમના પિતા શિશિર અધિકારી પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે મેચ શરુ થતા પહેલા જ તે હારી ચૂક્યા છે. મેં નંદીગ્રામ એટલા માટે પસંદ કર્યું કારણ કે તે મારા દિલની નજીક છે. જ્યારે હું નંદીગ્રામનું આંદોલન કરી રહી હતી ત્યારે પિતા-પુત્ર (શુભેન્દુ-શિશર) ની જોડી બે સપ્તાહ સુધી અહીં નહોતી દેખાઇ. તે નંદીગ્રામ ત્યારે આવ્યા જ્યારે બધુ શાંત થઇ ગયું હતું.