બંગાળમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા તૃણમૂલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ આજે બુધવારે વિપક્ષી દળોના નેતાઓને ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠી દ્ધારા મમતાએ લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોને સંગઠિત થવાની અપીલ કરી છે.
નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર મંગળવારે સાંજે સમાપ્ત થયા બાદ ટીએમસી નેતા મમતા બેનર્જીએ આજે નોન-બીજેપી નેતાઓને વ્યક્તિગત રુપે ચિઠ્ઠી લખી છે. મમતા બેનર્જીએ ચિઠ્ઠીમાં લોકતંત્રને બચાવવા માટે બધા વિપક્ષી દળોને ભાજપની સામે સંગઠિત થવાની વાત કરી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાની ચિઠ્ઠીમાં લખ્યું, મારુ માનવુ છે કે લોકતંત્ર અને બંધારણ પર ભાજપના હુમલાઓની સામે સંગઠિત અને પ્રભાવી સંઘર્ષનો સમય આવી ગયો છે.
મમતાએ જે નેતાઓને ચિઠ્ઠી લખી છે તેમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓના નામ મુખ્ય છે. દેશના 5 મુખ્યમંત્રીઓ સહિત અનેક નેતાઓને આ ચિઠ્ઠી લખવામાં આવી છે.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઉપરાંત, મમતા બેનર્જીએ એનસીપી નેતા શરદ પવાર, ડીએમકે પ્રમુખ સ્ટાલિન, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડી, ઉપરાંત ફારુખ અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી અને દીપાંકર ભટ્ટાચાર્યને પણ પત્ર લખ્યો છે.