રાજકોટવાસીઓને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા માટે તંત્ર દ્વારા ખાસ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા ગઈકાલે જ સંભવીત ત્રીજી લહેર સામે આગોતરૂ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. અને આ મુદ્દે કલેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર લઈને જિલ્લામાં કરેલી તૈયારીઓનો ડિટેઈલ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. ત્યારે આજે CM રૂપાણી સમક્ષ હાલમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકામો – પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
આજે ગાંધીનગર ખાતે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રોજેક્ટના કામોના ઝડપી અમલીકરણ માટે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના તેમજ રાજકોટના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષાની બેઠક યોજાઈ હતી.
જેમાં CMરૂપાણીએ રાજકોટમાં તૈયાર થઈ રહેલા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ, AIIMS રાજકોટ, સ્માર્ટ સિટીના વિવિધકામો, અર્બન ફોરેસ્ટ તેમજ જનાના હોસ્પિટલના કામોની ટેન્ડર પ્રક્રિયા, વિવિધ મંજૂરીઓ સહિતની પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય અને લોકોને નવી સુવિધાઓનો લાભ મળે તેવા સૂચનો કર્યા હતા.
CMના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજકોટના મેયર પ્રદિપભાઈ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ વિરાણી, સ્ટેડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

