કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક ગોટાળાનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી ભારત બહાર ફરાર છે ત્યારે હવે તેના ઠેકાણાંની જાણકારી મળી રહી છે.સરકારી સૂત્રો મારફત મળેલી માહિતી મુજબ, મેહુલ ચોક્સીએ અમેરિકાથી એન્ટીગુઆ આઇલેન્ડમાં આશરો લીધો છે.મેહુલ ચોક્સીએ કેરેબીયન દેશનો પાસપોર્ટ પણ લઇ લીધો છે.
સીબીઆઇ દ્રારા મેહુલ ચોક્સીની સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની કાર્યવાહી ચાલે છે તેવા સમયે એન્ટીગુઆ ઓથોરીટીએ ભારત સરકારને તેના ઠેકાણાં વિશે જાણ કરી છે.
સૂત્રો અનુસાર, મેહુલ ચોક્સી ગઇ 8 જુલાઇના રોજ અહીના વી. સી. બર્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. મેહુલ ચોક્સીએ અમેરિકાથી એન્ટીગુઆ જવા માટે જેટ બ્લુ ફ્લાઇટનો ઉપયોગ કર્યો હતો.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર મેહુલ ચોક્સીએ પાસે હાલ એન્ટીગુઆનો પાસપોર્ટ છે. એન્ટીગુઆના કાયદા પ્રમાણે જો કોઇ વ્યક્તિ ત્યાંની 4 લાખ યુએસ ડોલરની કિંમતની પ્રોપર્ટી ખરીદે તો તેને ત્યાંની નાગરિકતા મળી જાય છે. તે ઉપરાંત જો કોઇ કારોબારી ત્યાં 1.5 મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરે તો પણ તેને એન્ટીગુઆની નાગરિકતા મળે છે.
જાણકારી પ્રમાણે મેહુલ ચોક્સીએ અન્ટીગુઆમાં રોકાણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે આશરે 11 હજાર કરોડના પીએનબી છેતરપીંડી કૌભાંડમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી મુખ્ય આરોપી છે. નીરવ મોદી અને મેહુલ બંને ફરાર છે. નીરવ સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરી છે.