ગાંધીનગરઃ રાજ્યની બધી જ મેડિકલ કોલેજો, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દર મહિનાની છ તારીખે મોકડ્રિલ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજકોટ અગ્નિકાંડના છાંટા બધે જ ઉડ્યા છે. તેના પગલે રાજ્યની હોસ્પિટલોમાં વારંવાર આગ લાગવાના બનાવ બનતાં હોય છે તે જોઈ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેના ભાગરૂપે રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફટી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
આ વર્ચ્યુઅલ બેઠકમાં આરોગ્ય પ્રભાગના વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા. આ ઉપરાંત 19 મેડીકલ કોલેજ-હોસ્પિટલ, 18 ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 57 સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 328 સામૂહિક આરોગ્ય કેન્દ્રને મળી કુલ 422 આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં દર મહિનાની 6 તારીખે આરોગ્ય સંસ્થાઓમાં ફાયર મોકડ્રીલ અચૂક કરવી તેવો મહત્વનો નિર્ણય લેવાયો છે.
આરોગ્ય કમિશનરશ્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ગોઠવવામાં આવેલી ફાયર સેફટીની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા, અને તેની ચુસ્તપણે અમલવારી કરવા પણ જણાવવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન આરોગ્ય કમિશનરે કરેલ સૂચનો નીચે મુજબ છે.
આરોગ્ય સંસ્થાઓમાં રચના કરવામાં આવેલ ફાયર સેફટી કમીટીને સમયાંતરે ફાયર સેફટી ઓડિટ કરવી. ઇલેક્ટ્રીક લોડ મુજબ અનુરૂપ વાયરીંગ છે કે નહીં, તેની ખાતરી કરવી અને પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટના સંકલનમાં રહી ઇલેક્ટ્રીકલ ઓડિટ કરાવવુ. ICU (ઇન્ટેન્સીવ કેર યુનિટ) અને SNCU (સ્પેશીયલ ન્યુબોર્ન કેર યુનીટ) માં વાયરીંગની ખાસ ચકાસણી કરવી.
અશક્ત દર્દીઓ, ICU (ઇન્ટેન્સીવ કેર યુનીટ) અને SNCU (સ્પેશીયલ ન્યુબોર્ન કેર યુનીટ)ના દર્દીઓને તુરંત યોગ્ય સલામત સ્થળે ખસેડવા માટેનું પૂર્વ આયોજન સુનિશ્ચિત કરવું. ફાયર એક્ઝિટ સંકેતો (પોસ્ટર) રાત્રીમાં પણ દેખાય તેવા હોવા જોઇએ. આગ લાગે ત્યારે શું કરવુ અને શું ન કરવુ તેના પોસ્ટર લગાવવા.
ફાયર સેફટીના તમામ સાધનોની સમયાંતરે ચકાસણી કરવી અને સમયસર રીન્યુ કરાવવા અને તમામ જગ્યાઓ પર જરૂરિયાત મુજબના ફાયર સેફટી સાધનો જરૂરિયાત મુજબ ઇન્સ્ટોલ કરવા. ફાયર એન.ઓ.સી છે કે નહી તેની સમીક્ષા કરવી અને એન.ઓ.સી સમયસર રીન્યુ કરાવવા. જો સમયમર્યાદા સમાપ્ત થઇ ગઈ હોય તો એન.ઓ.સી તુરંત જ રીન્યુ કરાવવું.
આરોગ્ય સંસ્થાના તમામ સ્ટાફને ફાયર સેફટી, ફાયર ઉપકરણો બાબતે તાલીમબદ્ધ કરવા અને મોકડ્રીલમાં પણ સહભાગી કરવા. ગુજરાત ઇંસ્ટીટયુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટની માર્ગદર્શિકા મુજબ ફાયર સેફટી ચેકલીસ્ટના તમામ ૩૬-મુદાઓની દરેક આરોગ્ય સંસ્થાઓને હોસ્પિટલ કમીટી દ્વારા ચકાસણી કરાવી, અધ્યતન માહિતી રાજ્ય કક્ષાએ મોકલી આપવી.
પાણીની ઉપલબ્ધતા અથવા પાણીના સંગ્રહ માટેની ટાંકીની યોગ્ય વ્યવસ્થાની સમયાંતરે ચકાસણી કરવી. આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝીટ પ્લાનની અમલવારી કરવી. આગ લાગે ત્યારે બહાર નીકળવાના રસ્તાઓ કોઇપણ અડચણ વગર ખુલ્લા હોવા જોઇએ અને ફાયર એક્ઝીટના દરવાજા બહારની તરફ ખુલે તેવા રાખવા. આગના બનાવ વખતે ઇમરજન્સી એક્ઝીટ અંગે દર્દીઓ અને તેમના સગા-સંબંધિઓને પણ માહિતગાર કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: રાજકોટ મનપાની મંજૂરી વગર PGVCLએ વીજ જોડાણ આપ્યું કઈ રીતે?
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ
આ પણ વાંચો: પાલનપુરમાં 4 બાળકોને વીજ કરંટ લાગ્યો, એક ફૂલ મુરઝાયું