- ગુજરાતમાં જોરદાર વિકાસ થયો, સરકાર ને મત મળ્યા,વિકાસ નો કોન્ટ્રાક્ટ આપી દીધો
- કોન્ટ્રાક્ટર કમાયા, પણ બિચારા નિર્દોષને તો મોત જ મળ્યું ને…
- વિકાસ જોવા જતી જનતા પાસે ટિકિટના નાણાં લેવાય છે, પણ સલામતીનું શું?
- ટિકિટોનું બેફામ વેચાણ કરી કેપેસિટી બહાર ભીડ ભેગી કરી કમાણી કરાય છે
- અંબાજી, સોમનાથ, પાવાગઢ હોય કે, મેટ્રો ટ્રેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે સાયન્સ સિટી ,એમાં પ્રવાસીઓ વધ્યા, પૈસા કમાયા, પણ દુર્ઘટના ના સર્જાય તેનો વિચાર કર્યો?
ગુજરાત નો વિકાસ તો કૂદકે ને ભૂસકે વધ્યો છે, એ પણ ઉડીને આંખે વળગે એવો છે, ગુજરાતની સરકાર એનો શ્રેય લઈને ચૂંટણીઓ જીતી રહી છે, અમદાવાદનો રિવરફ્રન્ટ હોય, કાંકરિયા હોય, મેટ્રો ટ્રેન હોય કે પછી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ હોય, આ વિકાસનો પ્રચાર કરીને શાસકો મતદારોના મનમાં વસી ગયા છે.
પણ સૌથી મોટી વાત એ છે કે, આ વિકાસનો વેપાર શરૂ થઈ જાય, એના માટે કેટલીક ચોક્કસ એજન્સી કે સંસ્થાને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવે છે, પછી સરકાર છૂટી, કોન્ટ્રાક્ટ જાણે અને જનતા જાણે, સરકારને તો જાણે કોઈ લેવા દેવા જ ના હોય એમ ચાલ્યા કરે છે.
તેના પરિણામે સરકારે કરેલા વિકાસનો બેફામ વેપાર ચલાવે રાખે છે, જ્યાં વિકાસ જોવા જાવ ત્યાં ટિકિટ, પૈસા ખર્ચવા પડે, પૈસા કમાવવાની લ્હાયમાં આવા ખાનગી કોન્ટ્રાક્ટ વિકાસની મજબૂતી, કેપેસિટી કે પરિસ્થિતિ જોતા નથી, જે આવે એને આવવા જ દો, પૈસા કમાવ, એના કારણે અનેક વિકાસમાં જનતા પૈસા ખર્ચી ને પણ ધક્કા મુક્કી, નો ભોગ બને છે,
દિવાળીના તહેવારો હોય કે રજાઓ ના દિવસો આપણે જોયું છે કે, કાંકરિયા, statue of unity ,સાયન્સ સિટી, મેટ્રો ટ્રેન, અંબાજી,પાવાગઢ, સોમનાથ જેવા મોટા મંદિરોમાં ભારે ભીડ થાય છે, આ ભીડ ને કાબૂમાં રાખવા કે એમની સલામતી માટેના પગલાં ભરવાને બદલે કોન્ટ્રાક્ટર પોતે જાણે બહુ જ કમાયા હોય એમ જાહેર કરે કે, તહેવારો માં આટલા લાખ લોકોએ મુલાકાત લીધી, આટલી કમાણી થઈ.
સરકાર પણ આવા વિકાસના વેપાર ને પ્રોત્સાહન આપતી હોય એમ એની જાહેરાત કરે, પણ ભાઈ, આ ભીડને સાચવવા કે કોઈ મોટી દુર્ઘટનાના સર્જાય તે માટેના પગલાંનો વિચાર કેમ આવતો નહીં હોય, મોરબીની દુર્ઘટના એ પહેલી નથી આવી તો ઘણી બધી દુર્ઘટના સર્જાઈ, ભુલાઈ ગઈ, પણ એમાંથી બોધપાઠ લઈ ને વિકાસના વેપાર ની સાથે જનતા ની સલામતીનો પણ કાયમી ઉકેલ લાવવો જોઈએ.