નિર્મલ પટેલ-મંતવ્ય ન્યુઝ
વૈશ્વિક કોરોના મહામારીના બીજા ફેઝમાં શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપભેર સંક્રમણ વધી રહ્યું છે. જેથી કોવિડ સામે લડવા ઉપયુક્ત સુવિધાઓ ઉભી કરવા જાગૃત્ત જનપ્રતિનિધિઓ સતત પ્રયત્નશીલ છે, ત્યારે ઓલપાડ તાલુકાના દેલાડ ગામે શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલમાં કોરોના સારવાર માટે આધુનિક સુવિધાસજ્જ એબ્યુલન્સની તાતી જરૂરિયાત હોવાથી ટ્રસ્ટના ચેરમેન રાકેશભાઈ પટેલે ઓલપાડના ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલને રજૂઆત કરી હતી, જેને સત્વરે ધ્યાને લઈને મુકેશભાઈએ રૂ.૧૨.૫૧ લાખની ગ્રાન્ટ ફાળવી આપી હતી. તેમણે એમ્બ્યુલન્સ માટેના અનુદાનનો પત્ર જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ટ્રસ્ટના ચેરમેન રાકેશભાઈને અર્પણ કર્યો હતો.
નોંધનીય છે કે અગાઉ જીવનરક્ષા હોસ્પિટલમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઉભી થતા ઓલપાડ તાલુકાની જનતાની આરોગ્ય સુવિધા માટે ધારાસભ્યશ્રીએ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરી હતી, જેનો હકારાત્મક પ્રતિભાવ સાંપડતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ૦૯ વેન્ટિલેટર ફાળવી આપ્યા હતા.