કાનપુર,
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ મનાતા ગોરખપુરની BRD કોલેજમાં ઓક્સિજનની કમીના કારણે નવજાત શિશુના મોતની ઘટનાને હજી ગણતરીના જ મહિનાઓ થયા છે, ત્યારે હવે કાનપુરના સૌથી મોટા હોસ્પિટલમાં એક ચોકાવનારી ઘટના સામે આવ્યો છે.
કાનપુરની હૈલટ હોસ્પિટલના ICUમાં એસી ખરાબ થવાના કારણે ૪ દર્દીઓના મોત થયા છે. ચાર દર્દીઓના મોત થયા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ત્યારબાદ મોડી રાત્રે પોતે કાનપુરના ADM તપાસ માટે હોસ્પિટલ પહોચ્યા હતા.
મેડિકલ કોલેજના આચાર્યએ દાવો કર્યો છે કે, આઈસીયુમાં મૃત્યુ પામવાવાળા લોકો પહેલેથી જ સીરિયસ હતા. ત્યારબાદ સ્થાનિક પ્રશાસન દ્વારા તરત જ ICUમાં બે પાવર એસી લગાડાવ્યા હતા.
આ હોસ્પિટલની હાલત અંગે વાત કરવામાં આવે તો, ICUમાં ભર્તી દર્દીઓ હવે પોતે ઘરેથી જ પંખા લઈને સારવાર કરાવવા માટે આવી રહ્યા છે. ICUમાં તૈનાત નર્સો પણ કહેવું છે કે, “કેટલાક દિવસોથી AC ખરાબ છે, અમારા દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે પરંતુ અત્યારસુધીમાં કઈ થયું નથી”.
પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલના ICUમાં છેલ્લા ૫ દિવસથી AC ખરાબ છે, પરંતુ સતત ઘોર નિંદ્રામાં રહેલા સ્થાનિક તંત્રની ઉંઘ ત્યારે ખુલી જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૪ લોકોના મોત આ બેજવાબદારીના કારણે થઇ છે. બીજી બાજુ ચોકાવનારી વાત એ પણ ચ છે કે, ડોકટરોને આ અંગે માહિતી પણ નથી.
મામલાની તપાસ માટે ગઠિત કરવામાં આવી કમિટી
છેલ્લા ૨૪ કલાકમાં ૪ લોકોના મોત થયા બાદ આ મામલે જિલ્લા અધિકારી દ્વારા ચાર સભ્યોની તપાસ કમિટીનું ગઠન કરવા માટે આદેશ આપ્યો છે. આ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે કે આ મામલે બેજવાબદાર કોણ છે.
અંતિમ તપાસ બાદ જેને દોષિત ઠેરવવામાં આવશે તેઓ વિરુધ કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ગઢ ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સીજન સપ્લાય બંધ થવાથી ઘણા નવજાત બાળકોના મોત થયા હતા. જો કે ત્યારબાદ હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા ૬૯ લાખ રૂપિયા ભર્યાં ન હોવાને કારણે ઓક્સિજન સપ્લાય કરનારી સંસ્થાએ ઓક્સિજનનું સપ્લાય ગુરુવારે રાત્રે જ બંધ કરી દીધું હતું, જેને કારણે તડપી તડપીને બાળકોના મોત થયા હતા.
રાજ્યમાં સતત સામે આવી રહેલી હોસ્પિટલની બેજવાબદારીના કારણે લોકોના મોત નીપજ્યા છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે, યોગી સરકાર દ્વારા આ ઘટનાઓ માટે જવાબદાર દોષીઓ સામે શું પગલા લેવામાં આવે છે.