વડોદરા ખાતે ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં CM વિજય રૂપાણી, ડેપ્યુટી CM નિતીન પટેલ અને મંત્રીમંડળના સભ્યો અને સરકારના ઉચ્ચ અધિકારીઓએ આજે શુક્રવારે યોગા કરીને દિવસનો પ્રારંભ કર્યો હતો
વડોદરા ખાતે યોજાઇ રહેલી ૯મી ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજા દિવસનો પ્રારંભ વહેલી સવારના કુદરતના શુધ્ધ અને વૃક્ષાચ્છાદિત જીએસએફસી પરિસર અને સરકીટ હાઉસ-વડોદરા ખાતે યોગાભ્યાસના વર્ગથી પ્રારંભ થયો હતો.
આ યોગાભ્યાસમાં પ્રશિક્ષકે યોગમાં યમથી સમાધિ સુધીના સમન્વયની સમજણ અને યોગમાં આસનો પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું.
વડોદરાના જીએસએફસી સંકુલમાં વહેલી સવારે યોજાયેલા યોગાભ્યાસ વર્ગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, મંત્રીમંડળના મંત્રીઓ તેમજ ચિંતન શિબિરમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ પણ જોડાયા હતા.
આ યોગાભ્યાસ વર્ગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓએ લગભગ એક કલાક સુધી જોડાઈને વિવિધ પ્રકારના યોગા કર્યા હતા.
ચિંતન શિબિર અંતર્ગત યોજાયેલા આ યોગાભ્યાસ વર્ગનો પ્રારંભ સુક્ષ્મ યોગ પ્રાણાયામથી થયો હતો જયારે તેનું સમાપન ધ્યાન યોગથી કરવામાં આવ્યું હતું.
જીએસએફસી પરિસર અને સરકીટ હાઉસ ખાતે વહેલી સવારે યોજાયેલ યોગાભ્યાસમાં અર્ધચક્રાસન, વૃક્ષાસન, પદ્માસન, અર્ધ-પૂર્ણ સર્વાસન, વિપરીત સર્વાસન, ધનુરાસન, મકરાસન, નૌકાસન, મુકતાસન, અર્ધપવન મુકતાસન, નટરાજાસન, સવાસન, પર્વતાસન, અનુલોમ-વિલોમ પ્રાણાયમ જેવી વિવિધ મુદ્રાઓમાં યોગાભ્યાસ કર્યો હતો.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ યોગાભ્યાસ બાદ જીએસએફસી પરિસરના વિખ્યાત વડના વૃક્ષ નીચે સર્વે વરિષ્ઠ અધિકારીઓ સાથે વિશ્રામ કરી મનોમંથન કર્યુ હતું.