પંચકુલા,
પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના મામલે CBIની સ્પેશિયલ કોર્ટ દ્વારા પોતાનો ચુકાદો આપતા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત અન્ય ચાર આરોપીઓને ૧૬ વર્ષ બાદ દોષિત ઠેરવ્યા છે અને સજાનું એલાન ૧૭ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે.
રોહતકની સુનારિયા જેલમાં બંધ રામ રહીમની કોર્ટમાં હાજરી વિડિયો દ્વારા કરવામાં આવી હતી. જો કે આ સુનાવણીને લઈ ડેરા સચ્ચા સૌદા, સુનારિયા જેલ તેમજ સ્પેશિયલ કોર્ટની બહાર સુરક્ષાનો પુખ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ અધિકારી મોહમ્મદ અકીલે કહ્યું હતું કે, “હરિયાણામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. દરેક જીલ્લામાં તેમના સમર્થકો પર નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણા વિસ્તારમાં નાકાબંધી પણ કરવામાં આવી છે.
શું છે આ મામલો ?
પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડ ૧૬ વર્ષ જૂનો છે. રામચંદ્ર એક પત્રકાર હોવાને નાતે તેઓ સતત પોતાના સમાચાર પત્રમાં ડેરામાં થનારી અનર્થની માહિતી છાપી રહ્યા હતા. આ મામલે વર્ષ ૨૦૦૨માં તેઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ હત્યાના મામલે તેઓના પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી અને ત્યારબાદ તેઓની અરજી પર અદાલત દ્વારા આ હત્યાકાંડની તપાસ ૨૦૦૩માં CBIના હવાલે કરી હતી. CBI દ્વારા ૨૦૦૭માં કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરાઈ હતી અને રામ રહીમને આ મામલે કાવતરું રચવા માટે આરોપી બનાવ્યો હતો.