સીબીઆઈના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક વખત પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે સીબીઆઈ શું પીંજરામાં બંધ પોપટ છે ?આલોક વર્માને સીબીઆઈના ડાયરેકટર પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે જેને લઈને રાજકારણમાં દરેક લોકો પોતાના નિવેદન આપી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ આ મામલે પોપટનું ઉદાહરણ આપીને પોતાનું નિવેદન આપ્યું છે.
સિબ્બલે પોસ્ટમાં મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે આલોક વર્માને હટાવી દેવામાં આવ્યા…સમિતિએ સુનિશ્ચિત કર્યું છે કે પીંજરામાં બંધ પોપટ ઉડી ન શકે કારણકે તેને એ વાતની બીક છે કે કદાચ આ પોપટ બધા રહસ્યો ન ખોલી દે.વધુમાં તેમણે લખ્યું છે કે પીંજરામાં બંધ પોપટ હજુ પણ બંધ જ રહેશે.
આલોક વર્માને આ હોદ્દો અપાયો
એક નાટકીય ઘટનાક્રમમાં ગુરુવારે રાત્રે વડાપ્રધાન મોદીના અધ્યક્ષતાવાળી ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા આલોક વર્માને ફાયર સેફટી અને હોમગાર્ડનાં ડીજી તરીકે મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હાલ પૂરતા વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિ કરવામાં આવી છે.
હું સીબીઆઈની સાખ બની રહે તેવું ઈરછતો હતો : આલોક વર્મા
ગુરુવારે પીટીઆઈ સાથે વાતચીતમાં આલોક વર્માએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સીબીઆઈ ઉચ્ચ સાર્વજનિક સ્થાનોમાં ભ્રષ્ટાચારની તપાસ કરનારી એક પ્રમુખ એજન્સી છે, એક એવી સંસ્થા કે જ્યાં સ્વતંત્રતાને સંરક્ષિત અને સુરક્ષિત રાખવામાં આવે છે. હું આ સંસ્થાની સાખ બની રહે તે માટેના પ્રયત્નો કરતો હતો પરંતુ હાલ તેને નષ્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પેનલે જોયું કે સીવીસીએ આલોક વર્મા પર ગંભીર ટીપ્પણી કરી છે. પેનલને એવું લાગે છે કે આલોક વર્મા જે રીતના સંવેદનશીલ સંસ્થાના પ્રમુખ હતા પરંતુ તેનું આચરણ નહતા કરતા. સીવીસીને લાગે છે કે મોઈન કુરૈશીના મામલે આલોક વર્માની ભૂમિકા શંકાસ્પદ છે. IRCTC કેસમાં સીવીસીને લાગે છે કે આલોક વર્માએ એક વ્યક્તિનું નામ હટાવવાની કોશિશ કરી છે.