નવી દિલ્હી,
ભ્રષ્ટાચારનો આરોપોનો સામનો કરી રહેલી જાસૂસ એજન્સી CBIના ટોચના અધિકારી આલોક વર્માને એક ફિલ્મી નાટકીય અંદાજમાં વધુ એકવાર પોતાના પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને યોજાયેલી ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય કરાયો હતો.
જો કે ત્યારબાદ હવે આલોક વર્મા દ્વારા કરાયેલા તમામ ટ્રાન્સફરનો ઓર્ડર રદ્દ કરી દેવામાં આવ્યો છે. CBIના વચગાળાના ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવ દ્વારા આ ટ્રાન્સફર ઓર્ડરને પાછા લેવામાં આવ્યા છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ અંદાજે ૭૭ દિવસ પછી આલોક વર્મા પોતાના પદ પર ફરીથી કાયમ થયા હતા. આ દરમિયાન તેઓએ પોતાનું પદ સંભાળતા જ પાંચ અધિકારીઓનું ટ્રાન્સફર કર્યા હતા.
આ પાંચ અધિકારીઓમાં જે ડી અજય ભટનાગર, DIG એમ કે સિન્હા, DIG તરુણ ગઉબા, જે ડી મુરુગસન અને એક કે શર્મા શામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક નાટકીય ઘટનાક્રમમાં ગુરુવારે રાત્રે વડાપ્રધાન મોદીના અધ્યક્ષતાવાળી ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા આલોક વર્માને ફાયર સેફટી અને હોમગાર્ડનાં ડીજી તરીકે મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હાલ પૂરતા વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિ કરવામાં આવી છે.