નવી દિલ્હી,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી ફાઈટર પ્લેન રાફેલની ડીલ અને રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે કોંગ્રેસ દ્વારા સતત વર્તમાન સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આ મામલે મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી અશ્વિની ચોબેએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
બિહારમાં મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ રાહુલ ગાંધીને મેન્ટલ સ્કિઝોફ્રેનિયાની બીમારીના શિકાર અને નાળાના કીડા ગણાવ્યા છે.
કોંગ્રેસના અધ્યક્ષની મેન્ટલ બીમારી અંગે જણાવતા અશ્વિની ચોબેએ કહ્યું, “આ એક એવી બીમારી છે, જેમાં વ્યક્તિ બીજા લોકોને પાગલ સમજે છે, પરંતુ પોતે શું કરી રહ્યા છે તે તેઓને ખબર પડતી નથી”.
રાફેલ ડીલ અંગે પીએમ મોદીનો બચાવ કરતા તેઓએ જણાવ્યું, “રાફેલ વિમાન ડીલને લઇ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી પર કીચડ ફેંકી રહ્યા છે અને તેઓ વિરુધ દુષ્પ્રચાર કરી રહ્યા છે”.
કોંગ્રેસ અધ્યક્ષનો આકાર નાળાના કીડા જેવો છે.
રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેઓએ કહ્યું, “મોદીનો આકાર ગગન જેવો છે, જયારે રાહુલ ગાંધીનો નાળાના કીડા જેવો છે. તેઓ પોતાને ગુણવાન, વિદ્ધવાન, ચરિત્રવાન સમજે છે”.
કોંગ્રેસ દ્વારા આ મામલે પીએમ મોદી પર કરાઈ રહેલા આરોપો અંગે જણાવતા તેઓએ કહ્યું, “રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદીને ખોટા કહે છે તે ખૂન નિંદનીય છે”.
મહાગઠબંધન એ ઠગબંધન છે.
કેન્દ્રીયમંત્રી અશ્વિની ચોબેએ લાલુપ્રસાદ પ્રસાદની પાર્ટી આરજેડી અને કોંગ્રેસના ગઠબંધન અંગે જણાવ્યું, “કોંગ્રેસ અને આરજેડીએ ભ્રષ્ટાચારની જનની છે અને બિહારમાં આ ગઠબંધન અથવા તો રાષ્ટ્રીય સ્તર પર બની રહેલું મહાગઠબંધન એ ઠગબંધન છે, જેને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં દેશના લોકો પૂરી રીતે ફગાવી દેશે”.
મહત્વનું છે કે, વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલ મામલે મોદી સરકાર અને પીએમ મોદી પર સતત હુમલાઓ બોલવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી દ્વારા આ મુદ્દે તેમજ પ્રાઇવેટ સેક્ટરની રિલાયન્સ ડિફેન્સને રાફેલ વિમાનના નિર્માણ માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાફેલ ડીલ મામલે વિપક્ષી પાર્ટીઓ દ્વારા જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી (JPC)ના ગઠન અંગે પણ માંગ કરવામાં આવી છે.