1971માં પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધમાં અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપવાવાળા યુદ્ધ નાયક અને યાદગાર ફિલ્મ બોર્ડરની વાર્તાની પ્રેરણા સમાન બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીનું શનિવારે નિધન થઇ ગયું છે.
બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીનું નિધન મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં થયું છે. તેઓની ઉમર 78 વર્ષની હતી. 1971માં પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ સમયે બ્રિગેડિયર ચાંદપુરી ભારતીય સેનામાં મેજર હતા.
1971ના યુદ્ધમાં મેજર ચાંદપુરીએ રાજસ્થાનના લોન્ગેવાલા બોર્ડર પોસ્ટની પ્રસિદ્ધ લડાઈમાં લગભગ 100 જવાનોના એક દળનું નેતૃત્વ કર્યું હતું. જેણે પાકિસ્તાની ટેન્કોને ખદેડી હતી.
દુશ્મનને પીછે હટ માટે મજબુર કરવા બદલ એમને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વીરતા માટે મહાવીર ચક્ર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું સન્માન છે.
જણાવી દઈએ કે, બોર્ડર ફિલ્મમાં સની દેઓલે બ્રગેડિયર ચાંદપુરીનું કિરદાર નિભાવ્યું હતું. એમના પરિવારમાં એમની પત્ની અને 3 પુત્રો છે.