નવી દિલ્હી,
રાજધાની દિલ્હીની કેજરીવાલ સરકારમાં મુખ્ય સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે કરવામાં આવેલી કથિત મારપીટના મામલે પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સોમવારે દિલ્હી પોલીસ દ્વારા પટિયાલા હાઉસ કોર્ટ નંબર ૧૬માં આ ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ મામલામાં પોલીસ દ્વારા ૧૫૩૩ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી આ ચાર્જશીટમાં ૧૩ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ-,મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત અન્ય ૧૧ ધારાસભ્યોના નામ શામેલ છે.
સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, આ કેસમાં કેજરીવાલ સરકારના તત્કાલીન એડવાઇઝર વી કે જૈનને મુખ્ય સાક્ષી બનાવવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, મુખ્ય સચિવ સાથેની મારપીટના આ મુદ્દે ઘણી ચર્ચા જોવા મળી હતી. દિલ્હીના ઓફિસરો કેટલાક દિવસો સુધી આ મામલે હડતાળ પર બેઠા હતા.
શું હતો આ મામલો ?
દિલ્હી સરકારમાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશ ૧૯ ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે એક બેઠકમાં શામેલ થવા માટે મુખ્યમંત્રીના ઘર પર ગયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલની સામે AAPના MLAએ તેઓ સાથે મારપીટ કરાયા હોવાનો આરોપ હતો.
આ મામલાના બે દિવસ બાદ સિવિલ લાઈન્સ પોલીસ દ્વારા વી કે જૈનની પૂછતાછ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેઓએ કઈ પણ યોગ્ય રીતે જણાવ્યું ન હતું, પરંતુ ત્યારબાદ મેજિસ્ટ્રેટની સામે બંધ ઓરડામાં કરાયેલી પૂછતાછ દરમિયાન આ પૂરી ઘટના સામે આવી હતી અને વી કે જૈનને મુખ્ય સાક્ષી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.