નવી દિલ્હી,
દિલ્લીના બવાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શનિવારે સાંજે ૬:૨૦ વાગ્યે ફટાકડાની ત્રણ ફેકટરીઓમાં અચાનક આગ લાગી હતી.
આ આગના બનાવમાં 10 મહિલાઓ સહિત 17 લોકોના મોત થયા છે. ત્રણ ફેક્ટરીમાં આગ લાગી જતા અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.તો ઘણા લોકો ફેકટરીમાંથી બહાર નીકળી ન શકાતા ત્રીજા માળ પરથી કુદ્યા હતા અને જમીન પર પટકાવાથી મજૂરો મોતને ભેટ્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઘટના પર વડાપ્રધાન મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે.
આગની ઘટનામાં 17 લોકોના મોત થતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. ફેકટરીમાં આગ ની જાણ થતા જ ફાયરબ્રિગેડની ૧૫ ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જો કે આ મામલે ફેકટરીના માલિક મનોજ જૈનની ધરપકડ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ, આ ફેકટરીમાં 45 લોકો કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક આગ લાગી હતી. આગના કારણે કોઈ વ્યક્તિ ફેકટરીની બહાર નીકળી શક્યું ન હતું. ફાયરની ટીમે ફેકટરીમાંથી 17 લોકોની લાશો બહાર કાઢી છે.
જેના પગલે મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે.