રાંચી,
બિહારના બહુચર્ચિત એવા ઘાસચારા કૌભાંડના ત્રણ કેસમાં આરોપી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ પ્રસાદ યાદવને શનિવારે દુમકા કોષાગાર મામલા પણ સજા ફટકારવામાં આવી છે. રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે દુમકા કોષાગાર કેસમાં લાલુ યાદવને IPC અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની ધારાઓ પ્રમાણે ૧૪ વર્ષની સજા અને ૬૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ પહેલા સોમવારે દુમકા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર પૈસા ઉપાડવાના કેસમાં રાંચીની ખાસ સીબીઆઈ કોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને આરજેડી સુપ્રિમોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ સાથે લાલુપ્રસાદ યાદવ ચારા કૌભાંડ સાથે જોડાયેલા કુલ ૬ કેસમાંથી ૪ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ સજા ફટકારવામાં આવી છે.
જયારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા તેમજ મહેન્દ્રસિંહ બેદી, અધીપ ચંદ, ધ્રુવ ભગત અને આનંદ કુમાર સહિતના ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
લાલુપ્રસાદ યાદવના વકીલ પ્રભાત કુમારે જણાવ્યું હતું કે, IPC અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની ધારાઓ મુજબ ૭-૭ વર્ષની સજા ફટકારવામાં આવી છે. પરંતુ કુલ ૧૪ વર્ષની સજા પર તેઓએ કહ્યું, હજી સુધી અમને સજાના ચુકાદાની કોપી મળી નથી. ચુકાદાની કોપી મળ્યા બાદ જ સ્પષ્ટ થશે કે, જો આ અલગ-અલગ સજા થશે તો કુલ ૧૪ વર્ષની સજા ફટકારવામાં આવશે તેમજ કુલ ૬૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ૩૦-૩૦ લાખ રૂપિયાનો દંડ પણ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. આ દંડની ભરપાઈ નહીં કરવા પર ૧ વર્ષની વધુ સજા વધી શકે છે.
જયારે કોર્ટમાં ઉપસ્થિત વકીલ વિષ્ણુ કુમાર શર્માએ મીડિયાસ સાથેની વાતચીતમાં જણાવ્યું, આ મામલે ૨ અલગ-અલગ ધારાઓમાં લાલુપ્રસાદ યાદવને સજા થઇ છે. આ પ્રમાણે ૭-૭ વર્ષ મળીને કુલ ૧૪ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેઓએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે, એક સજા પૂર્ણ થયા બાદ જ બીજી સજા શરુ થશે.
તમને જણાવી દઇએ કે, આ કેસ દુમકા તિજોરીમાંથી ગેરકાયદે પૈસા ઉપાડવા સાથે જોડાયેલો છે. દુમકા તિજોરીમાંથી વર્ષ ૧૯૯૫થી ૧૯૯૬ વચ્ચેના સમયગાળા દરમિયાન ૩.૭૬ કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાને લઇ સીબીઆઈએ ૧૯૯૬માં કેસ નોધ્યો હતો અને ત્યારબાદ કેસની તપાસ બાદ સીબીઆઈએ ૧૧ એપ્રિલ ૧૯૯૬ના રોજ રિપોર્ટ નોંધાવ્યો હતો.
મહત્વનું છે કે, ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં આ ચાર ગોટાળાના પ્રથમ એવા દેવઘર ટ્રેઝરીથી ગેરકાયદેસર રૂપિયા ઉપાડવા મામલે સીબીઆઈ (CBI)ની ખાસ કોર્ટે આરજેડી સુપ્રીમને સાડા ત્રણ વર્ષની જેલ અને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
જયારે ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલ ચાઇબાસા ટ્રેઝરીમાંથી ઉચાપતના કેસમાં સીબીઆઈની કોર્ટે દોષિત ગણાવતા પાંચ-પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. કોર્ટે લાલુ યાદવ પર ૧૦ લાખ અને જગન્નાથ મિશ્રા પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.