નવી દિલ્હી,
૧૫ ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ ભારતનો ૭૨મો સ્વતંત્રતા દિવસ છે અને આ દિવસની ઉજવણી માટેની ખાસ તૈયારીઓ કરાઈ રહી છે, ત્યારે સ્વાતંત્ર્ય દિવસનાં ૨ દિવસ પૂર્વે લાલ કિલ્લામાં જ્યાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં રિહર્સલ યોજાયું હતું.
આ રિહર્સલમાં લોકોએ ૧૫ ઓગસ્ટે જે કપડાં પહેરવાના છે, એ જ કપડા પહેરીને ૨ દિવસ પહેલા જ ૧૫ ઓગષ્ટની ઝલકથી લોકોને રૂબરૂ કરાવ્યા હતા.
૧૫ ઓગષ્ટના દિવસે જે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું છે, એ જ નિયમોનું પાલન સોમવાર સવારથી કરવામાં આવ્યું હતું. દિલ્લી ટ્રાફિક પોલીસ દ્વારા ૧૫ ઓગષ્ટના રોજ સવારે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી નેતાજી સુભાષ માર્ગ, એસપી મુખર્જી માર્ગ, ચાંદની ચોક રોડ, નિષાદ રાજ માર્ગ સહિતના રૂટ સામાન્ય ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવશે.
રિહર્સલના દિવસે સવારે જે વાહનો પાસે સ્પેશિયલ પાર્કિંગ લેબલ ન હોય તેમને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ બંધ કરાયેલા રૂટ સિવાયનાં બીજા રૂટ પરથી પસાર થાય જ્યાં જનરલ ટ્રાફિકને બંધ કરવામાં આવ્યો ન હોય.
આ માટે તિલક માર્ગ, મથુરા રોડ, બહાદુર શાહ ઝફર માર્ગ, સુભાષ માર્ગ, જવાહરલાલ નહેરુ માર્ગ અને ISBT બ્રિજ અને નિઝામુદ્દીન વચ્ચેના રીંગ રોડ પરથી પસાર થવા માટે જણાવવામાં આવ્યું છે.
સોમવારે યોજાયેલા આ રિહર્સલમાં સિક્યુરીટી ગાર્ડ પોતાના ભારે ડ્રેસ સાથે હાજર થયા હતા. આ ઉપરાંત SWAT વુમેન ઓફિસર્સ પણ રિહર્સલ માટે પોતાનાં ફુલ ડ્રેસમાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, આવતી ૧૫ ઓગસ્ટના દિવસે, ૭૨માં સ્વતંત્રતા દિવસનાં પર્વ નિમિતે આપણી પરંપરા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધશે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ નરેન્દ્ર મોદીએ લોકોને પોતાના ભાષણ માટે નવા નવા વિચારો આપવા માટે કહ્યું હતું અને ભાષણ માટેના મુદ્દાઓ લોકો મોદીને એમની નરેન્દ્ર મોદી એપ પર આપી શકે છે.