લંડન,
બ્રિટેનની એક કોર્ટનો નિર્ણય ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ સંદર્ભે મહત્વપૂર્ણ હોઈ શકે છે. લંડનની કોર્ટે તિહાડ જેલને સુરક્ષિત ગણાવતા કહ્યુ કે, અહીં ભારતીય ભાગેડુનુ પ્રત્યાર્પણ કરી શકાય છે.
ક્રિકેટ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં આવેલ આ નિર્ણય બેંક સાથે છેતરપીંડી કરીને ભારતથી લંડન ભાગી ગયેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણના સંદર્ભે જોતા મહત્વપૂર્ણ છે.
લંડન હાઈકોર્ટના જસ્ટિસ લેગાટ અને જસ્ટિસ ડિંગેમેન્સે આપેલા પોતાના નિર્ણયમાં જણાવ્યુ કે, “તિહાડમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરીક સંજીવ ચાવલા માટે કોઈ ખતરો નથી”.
સંજીવ ચાવલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં ફિક્સિંગનો આરોપ છે. આ હેન્સી ક્રોન્યા મેચ ફિક્સિંગનો મામલો છે, જેમાં ભારતીય ક્રિકેટરો અજય જાડેજા અને મોહમ્મદ અઝહરુદ્દીન પર પણ આરોપ લાગ્યા હતા.
ભારત તરફથી ચાવલાની સારવારનો વિશ્વાસ આપવામાં આવ્યા બાદ લંડન હાઈકોર્ટે આ વાત કહી છે. લંડન હાઈકોર્ટના આ મહત્વપૂર્ણ નિર્ણયની અસર હવે ભાગેડુ આરોપી વિજય માલ્યાના કેસ પર પણ પડશે.
આ પાછળનુ કારણ એ છે કે, વિજય માલ્યા વારંવાર ભારતની જેલોને અસુરક્ષિત બતાવતો રહ્યો છે, એવામાં હવે બ્રિટિશ કોર્ટ તરફથી તેના પ્રત્યાર્પણની મંજુરી મળી શકે છે. હવે આ મામલામાં નવા નિર્ણય માટે કેસ વેસ્ટમિન્સટર મેજિસ્ટ્રેટ કોર્ટને ટ્રાન્સફર કરવામાં આવશે.
બ્રિટેનના વિદેશ મંત્રી ચાવલાના પ્રત્યાર્પણ સંદર્ભે અંતિમ નિર્ણય લેશે, પરંતુ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવી શકે છે. એટલુ જ નહીં ત્યારબાદ લંડનની સુપ્રીમ કોર્ટમાં પણ આ નિર્ણયને પડકારવામાં આવી શકે છે.
જો કે હવે આગામી સમયમાં વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણને લઈ ભારતીય એજન્સીઓનો માર્ગ મોકળો બન્યો છે. તેઓ આ નિર્ણયને ટાંકીને કોર્ટમાં પોતાનો દાવો રજુ કરી શકે છે.