શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં સેના દ્વારા આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા કુપવાડા જિલ્લામાં ઓલઆઉટના ભાગરૂપે વધુ એક સફળતા મળી છે. રવિવારે કેરન સેક્ટરમાં સુરક્ષાબળો દ્વારા આતંકીઓની ઘુષણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી દીધી છે અને ૫ આતંકવાદીઓને ઠાર મરાયા છે.
સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ, લાઈન ઓફ કંટ્રોલ (LOC) પર કેરણ સેક્ટરમાં આતંકીઓ ભારતીય બોર્ડર પાર કરીને ઘુષણખોરી કરવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન આતંકીઓની કોશિશને સુરક્ષાબળોએ નાકામ કરતા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં ૫ આતંકીઓને ઠાર કર્યાં છે. જો કે હજી આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકાને જોતા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
આ પહેલા મોદી સરકાર દ્વારા પવિત્ર રમઝાન મહિનામાં કાશ્મીર ઘાટીમાં સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ આ એલાન બાદ પણ સતત આતંકી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે ત્યારે સેના દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
૨-૩ આતંકીઓ છુપાયા હોઈ શકે છે : સૂત્ર
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં ૨ થી ૩ આતંકવાદીઓ હજી છુપાયા હોવાની સૂચના પ્રાપ્ત થઇ છે. આ કારણે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે.
બે દિવસ પહેલા જ ગૃહમંત્રીએ લીધી હતી જમ્મુ-કાશ્મીરની મુલાકાત
મહત્વનું છે કે, રમઝાનના પવિત્ર માસ દરમિયાન વધી રહેલી આતંકીઓની પ્રવૃત્તિઓમાં થયેલા વધારા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ બે દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા અને તેઓએ બોર્ડર પરના વિસ્તારોની મુલાકાત લીધી હતી.