જોધપુર,
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરની એક સગીર વયની છોકરીના રેપ કેસના મામલામાં જોધપુરની સ્પેશિયલ કોર્ટે મંગળવારે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી જયારે અન્ય આરોપીઓ રાજદાર શિલ્પી અને શરતચંદ્રને ૨૦-૨૦ વર્ષની સજા ફટકારી હતી. જો કે આ સજા ફટકાર્યા બાદ આસારામના જેલમાં બંધ થયાને હજી ગણતરીના દિવસો થયા છે ત્યારે આસારામનો એક નવો ઓડિયો વિરલ થયો છે.
જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામનો લાઇવ ઓડિયો પ્રવચન તેઓના ફેસબુક પેજ અને મોબાઈલ એપ “મંગલમય” પર પણ થોડાક સમય માટે શેયર કરવામાં આવ્યો હતો. પરંતુ તેને થોડીવારમાં હટાવી દેવામાં આવ્યો હતો.
હું ટુંક સમયમાં જ બહાર આવી જશે : આસારામ
વાઈરલ થયેલા પોતાના ઓડિયો કલીપમાં આસારામ જણાવી રહ્યો છે કે, “તે ટુંક સમયમાં જ બહાર આવી જશે અને નીચલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાને ઉપલી કોર્ટ રદ્દ કરી દેશે”.
આ પૂરો કેસ જ એક કાવતરું છે
આ ઉપરાંત તે પોતાના પ્રવચનમાં જણાવી રહ્યો છે કે, આ પૂરો કેસ જ એક કાવતરું છે. પહેલા હું દીકરી શિલ્પીને બહાર કઢાવીશ, પછી શરતને અને ત્યારબાદ હું તમારી વચ્ચે આવી જઈશ”. માનવામાં આવી રહ્યું છે કે, આ આસારામનો ઓડિયો સંદેશ શુક્રવારે સાંજે પ્રસારિત કરવામાં આવ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, આ ઓડિયો આજીવન કેદની સજા ફટકાર્યા બાદનો છે અને જેલમાં બંધ આસારામ પોતાના ભક્તોને ફોન દ્વારા સીધું જ પ્રવચન આપી રહ્યો છે. બીજી બાજુ આ ઓડિયો કલીપ વાઈરલ થયા બાદ જેલ પ્રશાસનમાં પણ હડકંપ જોવા મળી રહ્યો છે.
જો કે આ લાઇવ ઓડિયો કલીપ સામે આવ્યા બાદ જોધપુર જેલના DIG વિક્રમ સિંહે જણાવ્યું, “ગઈકાલે સાંજે ૬:૩૦ કલાકે પોતાના કેદીના અધિકારનો ઉપયોગ કરતા સાબરમતી આશ્રમમાં ફોન પર વાત કરી હતી”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જેલના દરેક કેદીને અધિકાર છે કે, “૧૨૦ રૂપિયા જમા કરાવીને તે મહિનામાં ૮૦ મિનીટ સુધી પોતાના જાણકાર સાથે વાત કરી શકે છે”.
તેઓએ આ ઓડિયો અંગેની કાર્યવાહી અંગે જણાવતા કહ્યું, “આ વાઈરલ ઓડિયો કલીપમાં એવી કોઈ આપત્તિજનક વાતો કહી નથી, જેના દ્વારા જેલ પ્રશાસન તેના પર કોઈ કાર્યવાહી કરે”.