નવી દિલ્હી,
લક્ઝુરીયસ ચીજવસ્તુઓ વધુ મોંઘી બની શકે છે. સરકારે જીએસટી અંતર્ગત આવતી તમામ લક્ઝુરીયસ ચીજવસ્તુઓ પર 1 ટકા કૃષિ સેસ લગાવવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. આ સેસ જીએસટીની 28 ટકા શ્રેણીમાં આવતી તમામ ચીજવસ્તુઓ પર લાગુ પડશે.
નાણાં મંત્રાલયે આ પ્રસ્તાવને મંજુરી આપીને ગ્રુપ ઓફ મિનિસ્ટર મારફતે જીએસટી કાઉન્સિલને મોકલી આપ્યુ છે. જીએસટી કાઉન્સિલની મંજુરી બાદ આ પ્રસ્તાવને લાગુ કરી દેવામાં આવશે. જે ચીજવસ્તુઓ પર કૃષિ સેસ લાગશે તેમાં એસી, વોશિંગ મશીન, ફ્રીજ, પેન્ટ, સિમેન્ટ, ટેલીવિઝન, પરફ્યુમ, ડીસ, વેક્યુમ ક્લીનર, ટુ વહીલર વાહન, કાર, એરક્રાફ્ટ, પાનમસાલા, સીગરેટ અને તમ્બાકુ સંબંધિત અન્ય ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
સુત્રોના જણાવ્યા મુજબ સરકારે આ નિર્ણય ખેડૂતો માટે ટેકાના ભાવમાં વધારો કરવાથી સરકાર પર પડનાર આર્થિક બોજને પહોંચી વળવા માટે લીધો છે. એક અનુમાન મુજબ ટેકાના ભાવમાં વધારો કરવાથી સરકારી તીજારી પર 15 હજાર કરોડનો બોજા પડશે.
જો સરકાર આ બોજ જાતે ઉઠાવવા જાય તો રાજકોષીય ખાદ્યમાં વધારો થઈ શકે છે. જેના કારણે સરકારે આ બોજ જાતે ઉઠાવવાની જગ્યાએ કૃષિ સેસ સ્વરુપે લોકો પર નાખવાનો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલયના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતું કે કૃષિ સેસ લગાવવાથી ગ્રાહકો પર ખાસ કોઈ અસર થશે નહીં.