ભોપાલ,
મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં ગુરુવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ૧૨ લોકોના કરુણ મોત થવાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જીપમાં સવાર લોકો ગ્વાલિયરથી ઘુરઘાના તરફ જઈ રહ્યા હતા ત્યારે મુરૈનાના ગંજરામપુર નજીક ગેરકાયદે રેતીથી ભરેલા ટ્રેક્ટરે આ વાહનને ટક્કર મારી હતી જેમાં ૧૨ લોકોના મોત અને છ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ ઘટનામાં ઘાયલ થયેલા વ્યક્તિઓની મદદે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, જેમણે એમ્બુલન્સ મારફતે ઘાયલોને સારવાર અર્થે જિલ્લાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
બીજી બાજુ આ ગંભીર ઘટનાના પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ પ્રારંભિક તપાસમાં સામે આવ્યુ છે કે, પોલીસથી બચવા માટે ટ્રેક્ટર ટ્રોલી મર્યાદીત ગતિથી વધુ ગતિથી હંકારવામાં આવતા આ અકસ્માત સર્જાયો છે.