બોધગયા મંદિર સીરીયલ બ્લાસ્ટ મામલામાં એનઆઈએ કોર્ટે શુક્રવારે પાંચે દોષીઓને ઉમરકેદની સજા આપી છે, સાથે જ પ્રત્યેકને ૪૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુરુવારે આ મામલામાં બંને પક્ષો તરફથી ચર્ચા થઇ હતી. એનઆઈએના વકીલે કોર્ટને જણાવ્યું કે આતંકીઓનો હેતુ ઘણાં મોટા લોકો અને સાથેજ સામાન્ય લોકોની હત્યા કરવાની યોજના હતી. જણાવી દઈએ કે ૭ જુલાઈ ૨૦૧૩ના રોજ મહાબોધિ મંદિર અને આસપાસમાં ૯ બ્લાસ્ટ થયા હતા, જેમાં એક બૌદ્ધ ભિક્ષુક સહીત ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
૫ દોષી આતંકીઓ છે…
હૈદર– ઝારખંડના ડોરંડાનો રહેવાસી છે, આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ.
મુજીબુલ્લાહ– ઝારખંડના ચકલા ગામનો નિવાસી છે.
ઈમ્તીઆઝ– રાંચીના ધ્રુવાનો નિવાસી છે, હૈદરની મદદ કરી હતી.
ઉમર– છતીસગઢના રાયપુરનો નિવાસી, આના ઘરેજ કાવતરું કરવામાં આવ્યું હતું.
અઝહર– રાયપુરનો નિવાસી, કાવતરું કરવામાં શામેલ હતો.
ઉપર જણાવેલા પાંચે આતંકવાદીઓ ૨૭ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ પટનાના ગાંધી મેદાનમાં હુંકાર રેલી દરમિયાન થયેલા બ્લાસ્ટમાં પણ દોષી સાબિત થયા છે.
તપાસમાં એ વાત સામે આવેલી કે આતંકવાદીઓએ રાયપુરમાં કાવતરું ઘડ્યું હતું અને બ્લાસ્ટ કરતા પહેલા પાંચ વાર રેકી કરી હતી.
ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા હૈદરે રાયપુર રહેતા સિમીના સભ્ય ઉમર સિદ્દીકી સાથે સંપર્ક કર્યો અને તેને મળવા માટે હૈદર રાયપુર ગયો હતો, જ્યાં બોધગયા બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
૭ જુલાઈ ૨૦૧૩ના રોજ બોધગયામાં આવેલા બૌદ્ધ ધર્મના તીર્થધામ મહાબોધિ મંદિરમાં એક પછી એક એમ ૯ બ્લાસ્ટ થયા હતા. પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા મંદિર પરિસરમાં રાખવામાં આવેલા કેટલાક બોમ્બને નિષ્ક્રિય કરી દીધા હતા.
ત્યારબાદ તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી અને એનઆઈએ એ ૬ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.