2019 લોકસભા ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના પ્રધાનમંત્રી ઉમેદવાર કોણ હશે, આ એક મોટો સવાલ બનેલો છે. આ વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને 2019 લોકસભા ચૂંટણી માટે વિપક્ષ તરફથી પ્રધાનમંત્રી પદ નો ચહેરો બનાવવાની વિરુદ્ધ નથી. દેવગૌડા આ પહેલા રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદ ના ઉમેદવાર બનાવવા માટે હામી ભરી ચુક્યા છે. એમણે કહ્યું હતું કે કર્ણાટકમાં અમે કોંગ્રેસ સાથે સરકાર ચલાવી રહ્યાં છીએ. તેથી અમને રાહુલ ગાંધીની ઉમેદવારી સ્વીકારવામાં કોઈ સમસ્યા નથી.
પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મમતાને પ્રધાનમંત્રી પદ ના ઉમેદવાર તરીકે પ્રાયોજિત કરવામાં આવે છે તો એમનું સ્વાગત છે. ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી રૂપે 17 વર્ષ શાસન કર્યું હતું. ફક્ત પુરુષે જ શા માટે પ્રધાનમંત્રી બનવું જોઈએ. મમતા અથવા માયાવતીએ શા માટે નહિ? દેવગૌડાએ સંકેત આપ્યો કે તેઓ કોઈ મહિલા પ્રધાનમંત્રીની વિરુદ્ધમાં નથી. એમણે 1996માં સંસદમાં મહિલા આરક્ષણ બિલનું માર્ગદર્શન કર્યું હતું.
દેવગૌડાએ આગળ જણાવ્યું કે ત્રીજા મોરચાની રચના હજુ શરૂઆતી સમયમાં છે અને મમતા બધી બિન ભાજપ પાર્ટીઓને એકસાથે લાવવા માટે સર્વશ્રેષ્ઠ કોશિશ કરી રહ્યા છે. એમણે કહ્યું કે જેડી(એસ) દ્વારા ક્ષેત્રીય પક્ષો ને એકજુટ કરવાની કોઈ કોશિશ કરવામાં નથી આવી. જોકે, એમણે કહ્યું કે ક્ષેત્રીય પક્ષો ભાજપ સાથે મુકાબલો કરવા માટે અન્ય પાર્ટીઓ સાથે સહયોગ કરવા તૈયાર છે. 2019માં ભાજપનો મુકાબલો કરવા માટે એક મજબૂત મોરચાની જરૂર છે.