રાંચી,
રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તાર અને ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક ઘરના પરિવારજનોએ કરેલી અત્મહત્યાના ઘટનાએ સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી હતી, ત્યારે હવે ઝારખંડના પાટનગર રાંચીમાંથી પણ આ જ પ્રકારે એક જ પરિવારના સભ્યોએ આત્મહત્યા કર્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે.
રાંચીમાં કાંકે પોલીસ ક્ષેત્રના બોડેયા રાઈમ મિલમાં એક પરિવારના ૭ લોકોએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનારા આ ૭ લોકોમાં ૫ પુખ્ત વયના તેમજ ૨ બાળકોનો સમાવેશ થાય છે. જો કે હજી સુધી આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.
બીજી બાજુ આ ઘટનાની જાણ પોલીસને થતા તેઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોચી છે અને આ મામલે તપાસ પણ હાથ ધરી છે.
ઝારખંડના હજારીબાગમાં પણ એક જ પરિવારના ૬ લોકોએ કરી હતી આત્મહત્યા
આ પહેલા ૧૫ જુલાઈના રોજ અ જ પ્રકારે ઘટના જોવા મળી હતી. જેમાં ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક પરિવારના ૬ લોકોએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. આ પરિવારના કુલ ૬ સભ્યોમાંથી ૫એ ફાંસીના ફંદા પર લટકીને આત્મહત્યા કરી હતી, જયારે અન્ય એક વ્યક્તિએ ઘરના ટેરેસ પરથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ દ્વારા આ મામલે હાથ ધરાયેલી તપાસ દરમિયાન એક કવર પર સુસાઇડ નોટ પણ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં કોઈ ગણિતના સૂત્રની જેમ સમજાવવામાં આવ્યું હતું.
જયારે રાજધાની દિલ્હીના બુરાડીમાં ૧ જુલાઈના રોજ એક ઘરમાંથી પરિવારના ૧૧ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘરમાંથી મળી આવેલા ૧૧ મૃતદેહોમાંથી સાત મહિલા અને ચાર પુરૂષના મૃતદેહ મળ્યા હતા. આ તમામ મૃતકોના દેહ લટકેલા હતા અને આંખો પર પટ્ટી બાંધેલી હતી.
જો કે ત્યારબાદ ઘટના સ્થળ પહોંચેલી દિલ્હી પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં હતા અને આં દરમિયાન પોલીસને ૧૧ ડાયરી પણ મળી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આ આત્મહત્યાનો મામલો હોય શકે છે. જો કે, આ મામલે હાથ તપાસ ચાલી રહી છે. ૧૧ મૃતકોમાં બે ભાઈઓ અને તેમની પત્નીઓ, તેમજ લગભગ ૧૬ અને ૧૭ વર્ષના બે યુવાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૃતકોમાં એક વૃદ્ધ માતા અને બહેનનો પણ સમાવેશ થાય છે.