ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબના કેબીનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુની સુરક્ષા વધારી દેવામાં આવી છે તેવી જાણકારી હાલમાં મળી છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે કેબીનેટ મંત્રીને મળેલી ધમકીઓના લીધે સુરક્ષા વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિદ્ધુને Z+ સુરક્ષા અને બુલેટ પ્રૂફ વાહન પણ આપવામાં આવ્યું છે.
આની પહેલા પણ વર્ષ ૨૦૧૮માં નવેમ્બર મહિનામાં મંત્રી સિદ્ધુના જીવને જોખમને છે તેમ કહી સીઆઈએસએફની સુરક્ષાની માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાળાએ આ મામલે ગૃહ મંત્રીને એક પત્ર લખ્યો હતો કારણ કે આ વખતે કેબીનેટ મંત્રી સિદ્ધુ પંજાબની બહાર ચૂંટણીનો પ્રચાર કરવાના છે.તેમણે લખ્યું છે કે સિદ્ધુ એ પ્રખ્યાત રાજકરણી અને પૂર્વ ક્રિકેટર છે. તેમણે પંજાબમાં ડ્રગ માફિયા વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તેમની સુરક્ષા વિશે ચોક્કસથી ચિંતા કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે કરતારપુર કોરીડોરના ઉદ્ઘાટન પર પાકિસ્તાન જવાને લીધે સિદ્ધુ વિવાદોમાં ઘેરાઈ ગયા હતા. આ મામલે સિદ્ધુએ કહ્યું હતું કે પાકિસ્તાનના પીએમ એમના સારા મિત્ર છે અને તેઓ એક કોંગ્રેસના અધ્યક્ષના કહેવા પર પાકિસ્તાન ગયા હતા. આ ઉપરાંત પંજાબ સરકાર પણ તેમની પર નારાજ થઇ ગઈ હતી અને તેમને રાજીનામું આપવા માટે કહી દીધું હતું.
પંજાબ સરકારના ત્રણ મંત્રી તૃપ્ત રાજિન્દર સિંહ બાજવા, સુખવિંદર સિંહ સરકારિયા અને રાણા ગુરમીત સિંહે કેબીનેટ મંત્રી સિદ્ધુનું રાજીનામું માંગ્યું હતું. તો બીજી તરફ કેટલાક મંત્રીએ તેનો પક્ષ લીધો હતો.