લંડન,
13,700 કરોડના પંજાબ નેશનલ બેંકના ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની જામીન અરજીની સુનાવણીમાં લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. હવે આના પછીની સુનાવણી 26 એપ્રિલના રોજ હાથ ધરાશે. તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે અગાઉ શુક્રવારે કોર્ટમાં ચાલતી જામીન સુનાવણી દરમિયાન ભારત તરફથી નીરવની વિરુદ્વ અન્ય પૂરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ટોબી કૈડમેને કહ્યું કે નીરવે એક સાક્ષીને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કૈડમૈને કોર્ટમાં જણાવ્યું કે નીરવ ભારતીય એજન્સીઓને સહાકાર આપી રહ્યો નથી.
કૈડમેને કોર્ટમાં તેની જામીન અરજીને ફગાવી દેવાની માંગ કરતા કહ્યું હતું કે નીરવ મોદીને જામીન ના મળવા જોઇએ તેના માટે પર્યાપ્ત કારણો છે. તેનું એક કારણ એ છે કે જો તેને જામીન મળશે તો તે દેશની બહાર ભાગી જાય તેવો ખતરો રહેલો છે. તદુપરાંત જો તે જેલની બહાર રહેશે તો તે પુરાવાને નષ્ટ કરવાનો અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પણ પ્રયાસ કરી શકે છે જે એક ખતરો સાબિત થઇ શકે છે.
નોંધનીય છે કે નીરવના કેસની સુનાવણી માટે સીબીઆઈ અને પ્રવર્તન નિર્દેશાલયની ટીમ લંડન ગઈ છે. સીબીઆઈ-ઈડીની ટીમમાં બંને તપાસ એજન્સીઓના જોઈન્ટ ડાયરેક્ટર સ્તરના અધિકારીઓ છે. ભારત નીરવના પ્રત્યાર્પણ દરેક પ્રયાસો કરી રહ્યું છે.