નવી દિલ્લી,
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી કોલેજમાં ભણાવતા લેક્ચરર અને અધ્યાપકોએ દૈનિક ઓછામાં ઓછી ૭ કલાકની ફરજીયાત હાજરી આપવી પડશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા કોલેજાના નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે. જે મુજબ હવે લેક્ચરર અને પ્રોફેસરે કોલેજમાં દૈનિક ૭ કલાકની હાજરી ફરજીયાત આપવી પડશે. યુજીસીનુ માનવુ છે કે આ વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓના ઘણા પ્રશ્નો ઉકેલ લાવી શકાશે. કારણકે લેક્ચર બાદ પણ અધ્યાપકો કોલેજમાં હાજર રહેશે, જેમની સેવા વિદ્યાર્થીઓ લઈ શકશે.
ઉપરાંત યુજીસીએ યુનિવર્સિટી અને કોલેજામાં અધ્યાપકોની નિમણૂંક માટે નવા નિયમો તૈયાર કર્યા છે. તેમજ આ નિયમો પર અત્યારે વિવિધ શૈક્ષણિક સંસ્થા પાસેથી ફિડબેક મગાવવામાં આવ્યા છે.
વર્તમાન વ્યવસ્થા મુજબ દોઢ લાખથી વધુનુ વેતન ધરાવતા પ્રોફેસરો કોલેજમાં માંડ બે કે ત્રણ પિરીયડ લેતા હોય છે અને તેઓ બે કે ત્રણ કલાક જ હાજરી આપે છે જેના કારણે અભ્યાસક્રમ પણ પુરો થઈ શક્તો નથી અને વિદ્યાર્થીઓએ જાતે પરીક્ષાની તૈયારી કરવી પડે છે. વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા હોય તો તેના નિકાલ માટે અધ્યાપક કોલેજમાં હાજર રહેતા નથી.
આ તમામ સમસ્યા નિવારવા માટે હવે કોલેજમાં ઓછામાં ઓછુ ૭ કલાક રોકાવુ પડશે. આ ઉપરાંત યુજીસીએ વિઝિટિંગ લેક્ચરરને પણ મોટી રાહત આપી છે.
કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા લેક્ચરરને કાયમી અધ્યાપક કરતા ઓછુ મહેનતાણું ચૂકવાતું હતું પરંતુ નવા નિયમ મુજબ હવે કોન્ટ્રાક્ટ પર કામ કરતા લેક્ચરરોને પણ અધ્યાપક સમકક્ષ પગાર આપવો પડશે.