શ્રીનગર,
ભારત દ્વારા શાંતિનો સંદેશો આપ્યા બાદ પણ પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાન તેની અવરચંદાઈ માંથી બહાર આવતું નથી. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા બોર્ડર પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ત્યારે BSF દ્વારા આ હરકતોનો જડબાતોડ જવાબ આપતા રવિવારે પાક.ના ઘણા બંકરો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ પાક.ના રેન્જર્સ દ્વારા સીઝફાયર માટે ગુહાર લગાવી રહ્યું હતું, ત્યારે હવે બીજા જ દિવસે વધુ એક વાર પાકિસ્તાને પોતાનો રંગ બદલતા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાન દ્વારા રવિવાર મોડી રાતથી જ ફાયરીંગ શરુ કરી દેવામાં આવી હતી. પાક.ના રેન્જર્સ દ્વારા જમ્મુ અને સાંબા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સીમા પર સતત ગોળીબારી શરુ કરી દેવામાં આવી હતી. BSFના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ રવિવાર મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના અર્નિયા, રામગઢ અને ચામલિયાલમાં સુરક્ષાબળોની ચોકીઓ પર ગોળીબારી કરી હતી.
પાક. દ્વારા બોર્ડર પાર અરનિયા સેક્ટરમાં હજી પણ ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આ ગોળીબારીને જોતા BSF અને પોલીસ દ્વારા ગામના લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટે કહ્યું છે. આ ઉપરાંત સોમવારે અરનિયાના આજુબાજુના ૫ કિમી ક્ષેત્રની તમામ સ્કૂલો બંધ કરવામાં આવી છે.
રવિવારથી સતત કરવામાં આવી રહેલા ફાયરીંગમાં પિંડી ચારકની એક મહિલા ગંભીરરૂપથી ઘાયલ થઇ છે અને તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સાથે સાથે ગામના મોહિન્દર કુમાર પણ ઈજાગ્રસ્ત થયા છે જયારે આ ફાયરીંગમાં SPનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફાયરીંગ રવિવાર રાત્રે ૧૦ વાગ્યે શરુ થઇ હતી. ત્યારબાદ BSF દ્વારા પણ જવાબી ફાયરીંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન રેન્જર્સ અને BSF અધિકારીઓએ રવિવારે જ બોર્ડર પર શાંતિ બનાવી રાખવા માટે સહમતી દર્શાવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, રમઝાનના પવિત્ર માસમાં ભારત તરફથી શાંતિના સંકેતો આપ્યા બાદ પણ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા તેની આતંક વિરોધી પ્રવૃતિ ચાલુ રાખતા સતત ઉશ્કેરણીજનક ગોળીબાર ચાલુ થયો હતો. આ ગોળીબારમાં એક બીએસએફ જવાન સહિત ૫ ભારતીયોના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ બીએસએફ દ્વારા પણ આ જવાબી ફાયરિંગ શરુ કરી દેવામાં આવ્યુ હતું અને તેઓની ચોકીઓ ધ્વસ્ત કરવામાં આવી છે.