નવી દિલ્હી,
ગયા વર્ષે સ્વીસ બેન્કોમાં ભારતીયો દ્વારા જમા કરવામાં આવેલી રકમમાં 50 ટકાનો વધારો થયો છે. આ આંકડાઓ સામે આવતા જ આ મુદ્દા પર નિવેદનબાજી શરુ થઇ ગઈ છે. આ માટે વિપક્ષ કેન્દ્ર સરકાર પર હુમલાઓ કરી રહ્યું છે. ભાજપના સાંસદ સુબ્રમણીયન સ્વામીએ આ મામલા પર સવાલ ઉઠાવતા નાણા મંત્રાલયના અધિકારીઓને ઘેર્યા છે. આ માટે એમણે હસમુખ અઢીયાને જવાબદાર કહ્યા છે. સરકાર તરફથી આ મામલામાં પ્રતિક્રિયા આવી છે.
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે આ બાબતે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે આ મામલામાં ભારત અને સ્વીત્ઝરલૅન્ડ વચ્ચે એક સંધી થઇ છે. આ ડેટા જાન્યુઆરી 2018થી નાણાકીય વર્ષના અંત સુધીનો છે. તો એને પૂરી રીતે બ્લેક મની કેવી રીતે કહી શકાય.
મહત્વનું છે કે ભારત અને સ્વીત્ઝરલૅન્ડ વચ્ચે બનેલા ઓટોમેટીક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશનના ફ્રેમવર્ક હેઠળ સ્વીસ નેશનલ બેંક દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ભારત અને અન્ય દેશો દ્વારા સ્વીસ બેંકમાં કાળું ધન જમા કરાવવા વાળા લોકો વિરુદ્ધ પુરાવા આપ્યા બાદ સ્વીત્ઝરલેન્ડે ગ્રાહકોની જાણકારી આપવાની હા કહી હતી. નવી સમજુતી મુજબ સ્વીત્ઝરલૅન્ડ ભારત દ્વારા કાળા ધન વિરુદ્ધ ચલાવાઈ રહેલા ઓપરેશનમાં મદદ કરી રહ્યું છે.