તિરુવન્તપુરમ,
કેરળના સબરીમાલા મંદિરમાં બે પ્રતિબંધિત મહિલાઓ દ્વારા કરવામાં આવેલી એન્ટ્રીને લઇ જોવા મળતા મામલાએ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે.
મંદિરમાં મહિલાઓના પ્રવેશની વિરુધ ઘણા હિન્દુવાદી સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી હડતાલ બોલાવવામાં આવી છે અને તેને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બુધવારે જખ્મી થયેલા એક વ્યક્તિનું મોત પણ થયું છે.
બીજી બાજુ આ વિવાદને રાજનૈતિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આં હિંદુવાદી સંગઠનોની હડતાળને ભાજપનું સમર્થન મળી રહ્યું છે, જયારે કોંગ્રેસની નેતૃત્વવાળા UDF કાળો દિવસ મનાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશવા માટે પરવાનગી આપી હતી. પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતના નિર્ણય બાદ પણ કોઈ પણ પ્રતિબંધિત મહિલાઓ ભગવાન અયપ્પાના દર્શન કરી શકી નથી.
બુધવારે મહિલાઓએ કર્યો હતો પ્રવેશ
જો કે ત્યારબાદ બુધવારે બે મહિલા મંદિરના ગર્ભ ગૃહ સુધી પહોચવામાં સફળ રહી હતી. આ મહિલાઓએ બુધવારે રાત્રે આશરે ૩:૪૫ વાગ્યે પ્રવેશ કર્યો હતો અને ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા.. આ મહિલાઓ ચુસ્ત પોલીસની સુરક્ષા વચ્ચે મંદિરમાં દાખલમાં થઇ હતી.
સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલાઓના નામ બિંદુ અને કનકદુર્ગા છે જેમની ઉંમર ૪૦ વર્ષની આસપાસ જણાવાઈ છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે અહી ૧૦ વર્ષથી ૫૦ વર્ષ સુધીની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંગળવારે અડધી રાત્રે બે મહિલાઓએ મંદીરમાં પ્રવેશ કર્યો હતો જેમની સાથે સાદા કપડામાં અને યુનિફોર્મમાં પોલીસ જોડે જ હતા.