નવી દિલ્હી,
વર્ષ ૨૦૦૨માં ગુજરાતના ગોધરા કાંડ બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણો મામલે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવામાં આવી હતી, ત્યારે હવે જાકિયા જાફરી દ્વારા કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી.
આ સુનાવણી બાદ જસ્ટિસ એ એમ ખાનવિલકરની બેન્ચે કહ્યું હતું કે, “૧૯ નવેમ્બરના રોજ આ કેસની આગામી સુનાવણી હાથ ધરાશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોમી રમખાણો બાદ ગઠિત કરવામાં આવેલી SIT દ્વારા નરેન્દ્ર મોદી સહિત અન્ય ૫૬ લોકોને ક્લીન ચિટ આપવામાં આવી હતી. ત્યારબાદ આ નિર્ણય વિરુધ જાકિયા જાફરી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા ગત ૫ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ફગાવવામાં આવી હતી.
![૨૦૦૨ ગુજરાત રમખાણ કેસ : PM મોદીને અપાયેલી ક્લીન ચિટ વિરુધ SCમાં હાથ ધરાશે સુનાવણી 2 Modi Godhra riots ૨૦૦૨ ગુજરાત રમખાણ કેસ : PM મોદીને અપાયેલી ક્લીન ચિટ વિરુધ SCમાં હાથ ધરાશે સુનાવણી](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/11/Modi-Godhra-riots.jpg)
હાઇકોર્ટના આ નિર્ણય બાદ જાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેઓએ દેશની સર્વોચ્ચ અદાલતમાં કહ્યું હતું કે, ૨૦૦૨ના રમખાણ કરાવવા પાછળ એક મોટું ષડયંત્ર હતું, જેને હાઈકોર્ટે માનવાનો ઈન્કાર કરી દીધો હતો.
જાકિયા જાફરીએ રમખાણોમાં મૃત્યુ પામેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની છે.