નવી દિલ્હી,
અયોધ્યા રામજન્મભૂમિ મામલે આગામી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ૧૩ જુલાઈની તારીખ નક્કી કરી છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ૩ સભ્યોની બેંચ સમક્ષ મુસ્લિમ પક્ષ તરફથી દલીલ રજુ કરતા અધિવક્તા રાજીવ ધવને જણાવ્યુ કે, મસ્જીદોને મનોરંજન માટે નથી બનાવવામાં આવતી. સૈંકડો લોકો ત્યાં નમાજ પઢે છે, શું તેને ધર્મની જરુરી પ્રેક્ટીસ ન માનવી જાઈએ? આ પહેલા ૧૭ મેના રોજ સુનાવણી દરમિયાન હિન્દુ સંગઠનોએ દલીલ આપી હતી કે બાબરી મસ્જીદ માટે કોઈ ખાસ સ્થાન અને જગ્યાનુ કોઈ મહત્વ નથી પરંતુ રામ જન્મસ્થળીનું ધાર્મિક મહત્વ છે અને હિન્દુઓ માટે તેની મહત્તા છે.
એવામાં રામજન્મભૂમિ સ્થળને બીજે ક્યાંક શિફ્ટ કરી શકાશે નહીં. તેના પર જવાબ આપતા રાજીવ ધવને સુપ્રીમ કોર્ટની સમક્ષ આ દલીલ આપી છે. મહત્વનુ છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસએન નઝીરની ડિવીઝન બેંચે ૧૭ મેના રોજ હિન્દુ સંગઠનો વતી દલીલો સાંભળી હતી. જેમાં તેમણે મુસ્લિમોને એ અનુરોધનો વિરોધ કર્યો હતો કે મસ્જીદને ઈસ્લામના અનુયાયીઓ દ્વારા અદા કરવામાં આવતી નમાઝને આંતરીક ભાગ નહીં માનનારા ૧૯૯૪ના ચુકાદાને મોટી બેંચ પાસે મોકલવામાં આવે.
અયોધ્યા કેસમાં મૂળ અરજદારોમાં સામેલ અને તેમના અવસાન બાદ કાનુની ઉત્તરાધિકારીઓ દ્વારા પ્રતિનિધિત્વ મેળવનાર એમ સિદ્દકીએ એમ ઈસ્માઈલ ફારુકીના કેસમાં ૧૯૯૪માં આવેલા ચુકાદા બાદ નિષ્કર્ષ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે બેંચને જણાવ્યુ હતું કે અયોધ્યાની જમીન સાથે સંકળાયેલ જમીન અધિગ્રહણ મામલામાં કરવામાં આવેલ ટિપ્પણીની માલિકી હક્ક વિવાદના નિષ્કર્ષ પર પ્રભાવ પડી શકે છે.