નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની રાજકીય પાર્ટીઓના ચાર્જશીટેડ દાગી નેતાઓને ચૂંટણી લડવા માટે રોક લગાવવા પર ઇન્કાર કરી દીધો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણી બાદ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ચાર્જસીટના આધાર પર દાગી નેતાઓ પર કાર્યવાહી કરવામાં આવી શકે એમ નથી. આ સંસદનું કામ છે, તેઓ આ મામલે કાયદો બનાવી શકે છે“.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચે જણાવ્યું હતું કે, “આ સંસદનું કામ છે તેઓ રાજનીતિમાં અપરાધીકરણ પર રોક લગાવવાનું કામ કરે. તેઓ આ મામલે કાયદો બનાવી શકે છે, પરંતુ અમે આ પ્રકારનો નિર્ણય લઈ શકતા નથી”.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે દેશની રાજકીય પાર્ટીઓના અનેક દિગ્ગજ નેતાઓને રાહત મળવા જઈ રહી છે, જેમના પર કોઈ પણ ગુનાહિત મામલે ચાર્જશીટ દાખલ થઇ ચુકી છે પરંતુ કોર્ટનો ચુકાદો આવ્યો નથી.
આ પ્રકારના નેતાઓની વાત કરવામાં આવે તો, ગુનાહિત નેતાઓની યાદીમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી નાખવા મામલમાં લખનઉની CBI કોર્ટના આદેશ બાદ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી પર ગુનો દાખલ થયો હતો.
રાજકીય પાર્ટીઓના આં નેતાઓને મળશે રાહત :
૧. લાલકૃષ્ણ અડવાણી : ભાજપ
૨. મુરલી મનોહર જોશી : ભાજપ
૩. ઉમા ભારતી : ભાજપ
૪. મહેશ ગિરી : ભાજપ
૫. પી. કરુણાકરન : CPM
૬. પી કે શ્રીમથી : CPM
૭. પપ્પુ યાદવ : જન અધિકાર લોકતાંત્રિક પાર્ટી
દેશના આટલા નેતાઓ પર છે ગુનાઓનો આરોપ
૧. દેશના ૧૭૬૫ સાંસદ – MLA મળી કુલ ૩૦૪૫ પર છે ગુનાહિત કેસ
૨. ૫૪૧માંથી કુલ ૫૩ સાંસદો વિરુધ છે ગુનાહિત કેસ
૩. ૨૩ સાંસદો પર સાબિત થયો છે પહેલીવાર ગુનો
૪. ઉત્તરપ્રદેશમાં છે સૌથી વધુ દાગી નેતા